પોપટલાલનાં લગ્નમાં દયાબેનના આવવાના કોઈ પણ ચાન્સ નથી

04 May, 2021 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હંમેશાં આ શોમાં તેના આવવાની ચર્ચાઓ ચાલ્યા કરે છે, સૌકોઈ તેની રાહ જુએ છે

દિશા વાકાણી

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ને દયાબેન એટલે કે દિશા વાકાણી વગર ચલાવવામાં મેકર્સને કોઈ વાંધો નથી. દયાબેન ઘણાં વર્ષોથી આ સિરિયલમાં નથી દેખાઈ રહી. હંમેશાં આ શોમાં તેના આવવાની ચર્ચાઓ ચાલ્યા કરે છે. સૌકોઈ તેની રાહ જુએ છે. જોકે શોમાં પાછા ન ફરવાનું નક્કર કારણ જાણી નથી શકાયું. તાજેતરમાં કોરોનાને કારણે સિનિયર કલાકારોના શૂટિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એથી આ શોમાં નટુકાકાનું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયક પણ નથી દેખાતા. એ વિશે શોના મેકર અસિત મોદીએ કહ્યું હતું કે ‘નટુકાકા વરિષ્ઠ નાગરિક છે અને તેઓ પોતાની બીમારીમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે. જોકે આ મહામારીને કારણે મને લાગે છે કે તેમણે ઘરે જ રહેવું જોઈએ અને તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. સ્થિતિ જ્યારે સામાન્ય બની જશે ત્યારે અમે તેમને પાછા લાવીશું. સાથે જ પોપટલાલનાં લગ્ન પણ અગત્યનાં છે, પરંતુ વર્તમાન સ્થિતિને જોતાં રાહ જોવી પડશે.’

બીજી તરફ દયા વિશે અસિત મોદીએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે હવે તો મારે જ દયા બની જવું જોઈએ. શોમાં તે પાછી આવે એવા સવાલો ઘણાં વર્ષોથી કરવામાં આવી રહ્યા છે. અમે પણ તેના આવવાની રાહ જોઈ રહ્યા છીએ. જો તેને આ શો છોડવો હોય તો નવી દયાને લાવીને પણ શો તો ચાલતો જ રહેશે. હાલમાં તો પોપટલાલનાં લગ્નમાં દયાને લાવવા માટેની કોઈ શક્યતા નથી. આ મહામારીમાં અનેક ગંભીર મુદ્દાઓ છે અને એના પર ધ્યાન દોરવું અગત્યનું છે.’

entertainment news indian television television news taarak mehta ka ooltah chashmah disha vakani