04 May, 2021 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિશા વાકાણી
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ને દયાબેન એટલે કે દિશા વાકાણી વગર ચલાવવામાં મેકર્સને કોઈ વાંધો નથી. દયાબેન ઘણાં વર્ષોથી આ સિરિયલમાં નથી દેખાઈ રહી. હંમેશાં આ શોમાં તેના આવવાની ચર્ચાઓ ચાલ્યા કરે છે. સૌકોઈ તેની રાહ જુએ છે. જોકે શોમાં પાછા ન ફરવાનું નક્કર કારણ જાણી નથી શકાયું. તાજેતરમાં કોરોનાને કારણે સિનિયર કલાકારોના શૂટિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એથી આ શોમાં નટુકાકાનું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયક પણ નથી દેખાતા. એ વિશે શોના મેકર અસિત મોદીએ કહ્યું હતું કે ‘નટુકાકા વરિષ્ઠ નાગરિક છે અને તેઓ પોતાની બીમારીમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે. જોકે આ મહામારીને કારણે મને લાગે છે કે તેમણે ઘરે જ રહેવું જોઈએ અને તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. સ્થિતિ જ્યારે સામાન્ય બની જશે ત્યારે અમે તેમને પાછા લાવીશું. સાથે જ પોપટલાલનાં લગ્ન પણ અગત્યનાં છે, પરંતુ વર્તમાન સ્થિતિને જોતાં રાહ જોવી પડશે.’
બીજી તરફ દયા વિશે અસિત મોદીએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે હવે તો મારે જ દયા બની જવું જોઈએ. શોમાં તે પાછી આવે એવા સવાલો ઘણાં વર્ષોથી કરવામાં આવી રહ્યા છે. અમે પણ તેના આવવાની રાહ જોઈ રહ્યા છીએ. જો તેને આ શો છોડવો હોય તો નવી દયાને લાવીને પણ શો તો ચાલતો જ રહેશે. હાલમાં તો પોપટલાલનાં લગ્નમાં દયાને લાવવા માટેની કોઈ શક્યતા નથી. આ મહામારીમાં અનેક ગંભીર મુદ્દાઓ છે અને એના પર ધ્યાન દોરવું અગત્યનું છે.’