કોણે શું કહ્યું?

22 September, 2022 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોલિવૂડની હસ્તીઓ અને રાજકારણીઓએ સ્વર્ગસ્થ રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપી

રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે તેની સાથેનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શૅર કરેલો પોતાનો ફોટો.

રાજુ શ્રીવાસ્તવ હવે આપણી વચ્ચે નથી રહ્યા એનું ખૂબ જ દુઃખ છે. તેઓ એક ગરીબ ફૅમિલીમાંથી આવ્યા હતા પરંતુ તેમની ટૅલન્ટ અને મહેનતથી તેમણે દુનિયામાં પોતાની જગ્યા બનાવી હતી. તેમના જેવા ખૂબ જ ઓછા કૉમેડિયન હોય છે. સમાજવાદી પાર્ટી સાથે તેઓ જ્યારે જોડાયા હતા ત્યારે કેવી રીતે તેઓ કાનપુરમાંથી કૉન્ટેસ્ટ લડવા માગતા હતા એ મને હજી પણ યાદ છે.
અખિલેશ યાદવ

રાજુ શ્રીવાસ્તવના અકાળ મૃત્યુના સમચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે. તેના અદ્ભુત કૉમિક ટાઇમિંગ દ્વારા તેણે દર્શકોને ઘણાં વર્ષોથી મનોરંજન પૂરું પાડ્યું હતું.  આપણે એક અણમોલ રત્ન ખોયું છે. તેનાં ફૅમિલી અને ચાહકોને શક્તિ મળે.
મધુર ભંડારકર

હાસ્ય, હ્યુમર અને સકારાત્મકતા દ્વારા તેણે આપણી લાઇફને ઉજાગર બનાવી દીધી છે. તે આપણને જલદી છોડીને જતો રહ્યો છે, પરંતુ તેણે વર્ષો સુધી કરેલા અદ્ભુત કામને કારણે તે આજીવન આપણા દિલમાં જીવંત રહેશે. તેનું મૃત્યુ ખૂબ જ દુખદ છે. તેની ફૅમિલી સાથે મારી સંવેદના છે. ઓમ શાંતિ.
નરેન્દ્ર મોદી

મિમિક્રી કિંગ અને અદ્ભુત આર્ટિસ્ટ રાજુ શ્રીવાસ્તવજીના અકાળ મૃત્યુથી ખૂબ જ દુખી છું. તેમનાં ફૅમિલી, ફ્રેન્ડ્સ અને ફૅન્સ સાથે મારી સંવેદના છે. ઓમ શાંતિ.
રામનાથ કોવિંદ

રાજુ શ્રીવાસ્તવજીને અલવિદા. લાખો લોકોના ચહેરા પર સ્માઇલ લાવવા માટે તેમને હંમેશાં યાદ રાખવામાં આવશે. તેમનાં ફૅમિલી અને નિકટના વ્યક્તિઓ સાથે આ દુઃખના સમયમાં મારી સંવેદના છે.
આદિત્ય ઠાકરે

રાજુ શ્રીવાસ્તવના મૃત્યુના સમાચાર ખૂબ જ દુખદ છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. તમે હંમેશાં અમારા દિલમાં રહેશો. તેમની ફૅમિલીને આ દુઃખના સમયમાં શક્તિ મળે.
શિખર ધવન

તેઓ છેલ્લા ૪૦ દિવસથી મૃત્યુ સામે લડી રહ્યા હતા અને મેં સપનામાં પણ નહોતું વિચારેલું કે તેઓ અમને છોડીને જતા રહેશે. આ દિવસ ક્યારેય જોવો ન પડે એવી હું પ્રાર્થના કરી રહ્યો હતો. તેમનાં ફૅમિલી અને તેમના નજીકના માણસો માટે આ ખૂબ જ દુખદ ન્યુઝ છે. હજી પણ હું એવી આશા રાખું છુ કે કોઈ જાદુ થાય અને તેઓ પાછા આવી જાય.
સુનીલ પાલ

આજે પહેલી વાર તમે રડાવ્યો છે રાજુભાઈ. કાશ, એક મુલાકાત હજી થઈ શકી હોત. ઈશ્વર તમને તેમનાં ચરણોમાં સ્થાન આપે. તમે બહુ જ યાદ આવશો. અલવિદા. ઓમ શાંતિ.
કપિલ શર્મા

રાજુભાઈ, તમે જીવનભર અમને હસાવ્યા છે. ભગવાનને પ્રાર્થના છે કે તમારા આત્માને સદ્ગતિ મળે.
અક્ષયકુમાર

તારા જીવન દરમ્યાન ઑનસ્ક્રીન કે ઑફસ્ક્રીન તેં ફક્ત લોકોને હાસ્યની ગિફ્ટ આપી છે. તારા અકાળ મૃત્યુથી મને ખૂબ જ દુઃખ થયું છે. 
અજય દેવગન

તમે હંમેશાં અમારા દિલમાં રહેશો. રાજુ શ્રીવાસ્તવ સરના આત્માને શાંતિ મળે. તેમની ફૅમિલી સાથે મારી સંવેદના છે.
હૃતિક રોશન

છેલ્લા એક મહિનાથી મને જે ડર હતો એ જ થયું. રાજુ શ્રીવાસ્તવ સ્વર્ગમાં આપણને બધાને છોડીને જતા રહ્યા છે. આ સમાચાર સાંભળીને ખૂબ જ દુખી છું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
શેખર સુમન

રાજુ શ્રીવાસ્તવના મૃત્યુ વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે. તે ખૂબ જ સારો કો-ઍક્ટર અને અદ્ભુત કૉમેડિયન હતો. તેની સાથે, તેની ફૅમિલી સાથે અને તેના ફૅન્સ સાથે મારી પ્રાર્થના છે. તારી ટૅલન્ટ અમારી સાથે શૅર કરવા માટે તારો આભાર રાજુ.
અભિષેક બચ્ચન

entertainment news raju shrivastav narendra modi akshay kumar