04 October, 2022 04:57 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રામલીલામાં હાજરી આપી ‘ભાબીજી ઘર પર હૈં!’ના કલાકારોએ
‘ભાબીજી ઘર પર હૈં!’નાં કલાકારો આસિફ શેખ અને વિદિશા શ્રીવાસ્તવે લાલ કિલ્લા ખાતે દિલ્હીની પ્રસિદ્ધ લવ-કુશ રામલીલામાં હાજરી આપી હતી. આ કૉમેડી સિરિયલમાં વિભૂતિ નારાયણ મિશ્રાનો રોલ ભજવનાર આસિફ શેખ અને અનીતા મિશ્રાની ભૂમિકામાં દેખાતી વિદિશા શ્રીવાસ્તવ પહોંચી ગયાં હતાં. લોકોના જોશને જોઈને આસિફ શેખે કહ્યું કે ‘લાલ કિલ્લા ખાતે રામલીલા માટે અદ્ભુત ભીડ જોવા મળી હતી. લોકોમાં ગજબનો જોશ અને ઉમળકો હતાં. અમારા આગમનથી તેમની ખુશીની કોઈ સીમા ન રહી. લવ-કુશ રામલીલા શ્રેષ્ઠ ઉજવણીઓમાંની એક છે. બે વર્ષ બાદ આ ઉત્સવ થતો હોવાથી આ વર્ષની ઉજવણી વધુ રોચક અને મંત્રમુગ્ધ કરનારી છે. હું નાનો હતો ત્યારે મારા પરિવાર સાથે રામલીલા જોવા જતો હતો. જોકે એક દિવસ આ મંચ પર પહોંચીશ અને મારા શોના કલાકારો સાથે લોકો સાથે વાત કરવાની તક મળશે એવું કદી પણ નહોતું વિચાર્યું. અમને આ ભવ્ય ઉત્સવમાં ભાગ લેવા માટે અને અદ્ભુત પર્ફોર્મન્સ જોવાની તક આપવા માટે આખી આયોજન સમિતિનો આભાર. દિલ્લીવાલોંને એક બાર ફિર મેરા દિલ જીત લિયા.’
તો આ શોની અનીતાભાભી એટલે કે વિદિશાએ કહ્યું કે ‘આ ઉત્સવનો અનુભવ ખૂબ જ શાનદાર હતો. મેં લવ-કુશ રામલીલા વિશે સાંભળ્યું હતું. એથી પર્સનલી એની મુલાકાત લેવાની ઇચ્છા હતી. લોકોએ અમારા પર ખૂબ પ્રેમ વરસાવ્યો. સૌથી સારી વાત એ છે કે મને આસિફજી સાથે મજાક-મસ્તી અને લોકો સાથે ચર્ચા કરવા મળી હતી. લોકોનો ઉત્સાહ અને જોશ અતુલનીય હતા. લોકોએ મને અનીતાભાભી કહીને બોલાવી એ મને હંમેશાં યાદ રહેશે.’