06 September, 2021 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહીર શેખ અને અંકિતા લોખંડે
‘પવિત્ર રિશ્તા 2.0’માં માનવના રોલમાં શાહીર શેખને જોઈને અંકિતા લોખંડે ઇમોશનલ થઈ ગઈ હતી. આ સિરિયલ ઝીફાઇવ પર ૧૫ સપ્ટેમ્બરે શરૂ થવાની છે. ૧૨ વર્ષ પહેલાં આ સિરિયલ શરૂ થઈ હતી, જેમાં સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે લીડ રોલમાં જોવા મળ્યાં હતાં. તેમણે માનવ અને અર્ચનાનું પાત્ર ભજવ્યું હતું. લોકોને તેમની આ જોડી ખૂબ પસંદ પડી હતી. સુશાંતને યાદ કરતાં અંકિતા લોખંડેએ કહ્યું હતું કે ‘સુશાંત અને મેં ‘પવિત્ર રિશ્તા’ બનાવ્યા હતા, એથી એમાં વિચારવા જેવું કશું નથી. અમે અર્ચના અને માનવ હતાં. જે લોકો અમને પ્રેમ કરે છે તેમને માટે અમે હંમેશાં અર્ચના અને માનવ રહીશું. લોકો અમારે માટે રડ્યા હતા અને લોકો હજી પણ રડે છે. દરેક જર્નલિસ્ટ સાથે હું વાત કરું છું તેઓ પણ રડે છે, કારણ કે તેઓ પણ ‘પવિત્ર રિશ્તા’ સાથે જોડાયેલા હતા અને એ જ સારી બાબત છે. અમે કંઈક એવું બનાવ્યું હતું જે ખૂબ ઑર્ગેનિક હતું. મારી અને સુશાંતમાં લોકોને જાદુ દેખાયો હતો. મેં જ્યારે ‘પવિત્ર રિશ્તા 2.0’નું શૂટિંગ શરૂ કર્યું ત્યારે તે મને દરેક ઠેકાણે, દરેક સીનમાં દેખાતો હતો. શાહીર સેટ પર જ્યારે આવતો ત્યારે તે માનવના એ ગેટ-અપમાં રહેતો હતો જેને મેં વર્ષો પહેલાં જોયો હતો. એ ઇમોશનલ હતું. હું તો માત્ર એટલું જ અનુભવું છું કે તે આપણને જોતો હશે.’