28 October, 2021 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘અગ્નિપથ’ જોઈને કેમ રડી પડ્યો હતો રાજકુમાર રાવ?
રાજકુમાર રાવે જણાવ્યું હતું કે ‘અગ્નિપથ’માં જ્યારે અમિતાભ બચ્ચનનું નિધન થાય છે એ જોઈને બાળપણમાં તે ખૂબ રડ્યો હતો. ‘કૌન બનેગા કરોડપતિ 13’માં શાનદાર શુક્રવારમાં રાજકુમાર અને ક્રિતી સૅનન જોવા મળશે. આ ક્વિઝ પર આધારિત શો સોની પર આવે છે. આ શોમાં ક્રિતી ઘૂંટણ પર બેસીને અમિતાભ બચ્ચનને પ્રપોઝ કરતી અને ડાન્સ કરતી પણ જોવા મળશે. પોતાના બાળપણના એ કિસ્સાને વર્ણવતાં રાજકુમારે કહ્યું હતું કે ‘બાળપણમાં મેં જ્યારે ‘અગ્નિપથ’ જોઈ હતી અને ફિલ્મમાં જ્યારે તમારું પાત્ર ‘વિજય’ મૃત્યુ પામે છે. સર, ફિલ્મ જ્યારે પતી ગઈ તો હું દોડીને મારી રૂમમાં ગયો, મારા ચહેરા પર તકિયો રાખીને જોર-જોરથી હું રડવા લાગ્યો હતો. મને જ્યારે લાગ્યું કે અમિતાભ બચ્ચનનું અવસાન થાય છે તો હું ભગવાનને કહેતો હતો કે ‘આવું કેવી રીતે થઈ શકે છે? ભગવાન પ્લીઝ, અમિતાભ બચ્ચનને જીવિત કરો. ભગવાન આવું કઈ રીતે કરી શકે? તેઓ મરી ન શકે. બાદમાં મારી મમ્મીએ આવીને મને સમજાવ્યો કે આ તો એક ફિલ્મ છે, વાસ્તવિકતા નથી.’