09 April, 2021 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય લીલા ભણસાલી
સંજય લીલા ભણસાલીના પ્રોડક્શન-હાઉસે ઇરોઝ એન્ટરટેઇનમેન્ટ સાથેનો તેનો કૉન્ટ્રૅક્ટ ટર્મિનેટ કર્યો છે. ગયા વર્ષે સંજય લીલા ભણસાલીનું પ્રોડક્શન-હાઉસ હાઈ કોર્ટમાં ગયું હતું, જ્યાં તેમણે ઇરોઝ ઇન્ટરનૅશનલ મીડિયા વિરુદ્ધ ઍગ્રીમેન્ટને લઈને બાકી નીકળતા પૈસાને લઈને કેસ કર્યો હતો. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’ માટે હાઈ કોર્ટે સંજય લીલા ભણસાલીના પ્રોડક્શન-હાઉસને ત્રણ અઠવાડિયાંમાં ૧૯.૩૯ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ ઇરોઝને આપ્યો હતો. ત્યાર બાદ ફરી સંજય લીલા ભણસાલીએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ સમયે તેમણે ૨૦૧૫માં રિલીઝ થયેલી ‘બાજીરાવ મસ્તાની’ના રાઇટ્સનો ભંગ કરવા બદલ ફરિયાદ કરી હતી. જોકે હવે તેમણે ઇરોઝ સાથે આ બન્ને ફિલ્મનો કૉન્ટ્રૅક્ટ જ રદ કર્યો છે. આ વિશે સંજય લીલા ભણસાલીના પ્રોડક્શન-હાઉસે સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘અમે ભણસાલી પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ અને અમારા ઍડ્વોકેટ સાથે મળીને લેટરમાં જણાવીએ છીએ કે ૨૦૨૧ની પાંચ એપ્રિલથી અમે ઇરોઝ ઇન્ટરનૅશનલ મીડિયા લિમિટેડ સાથે અમારી ફિલ્મો ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’ અને ‘બાજીરાવ મસ્તાની’ના ઍગ્રીમેન્ટને અમે ટર્મિનેટ કરીએ છીએ. આ ફિલ્મો માટે અમે તેમને જે હક આપ્યા હતા એ પાછા લઈ રહ્યા છીએ. આથી આ ફિલ્મ સાથે ડાયરેક્ટ–ઇનડાયરેક્ટ કે કોઈ પણ રીતે જોડાયેલા વ્યક્તિએ એ વિશે નોંધ લેવી.’