30 November, 2021 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીએ બ્રૅન્ડ-એન્ડોર્સમેન્ટને લઈને જણાવ્યું છે કે તે ઍક્ટર છે, કોઈ સેલ્સમૅન નથી. તેને બ્રૅન્ડ-એન્ડોર્સમેન્ટની અનેક ઑફર્સ આવી રહી છે પરંતુ તે સ્વીકારતો નથી. તેનું કહેવું છે કે લોકો પ્રત્યે તેની જવાબદારી બને છે. એથી સમાજને નુકસાન થાય એવી કોઈ પણ વસ્તુ નથી કરવા માગતો. એ વિશે પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘હું એક ઍક્ટર છું, સેલ્સમૅન નથી. હું મારા દેશનો એક જવાબદાર નાગરિક છું. હું જે કંઈ પણ કરીશ કે કહીશ એને આજે દેશના લાખો લોકો સાંભળશે. હું શું કામ માત્ર કરવા ખાતર એ કરું? હું મારી કળાને લઈને સમર્પિત છું. હું મારા ફૅન્સ અને ફૉલોઅર્સની સાથે પ્રામાણિક રહેવા માગું છું. આ લોકો મારી ફિલ્મો જુએ છે, મારા રોલ્સની પ્રશંસા કરે છે અને આજે હું જે કંઈ પણ છું તેમના કારણે જ છું. એથી મારી નૈતિક જવાબદારી બની છે કે હું માત્ર એવી પ્રોડક્ટ્સને જ એન્ડોર્સ કરું જેનો હું વ્યક્તિગત રીતે ઉપયોગ કરતો હોઉં અથવા તો સમાજને કોઈ પણ રીતે હાનિ ન પહોંચાડતી હોય. મૂળ વાત એ છે કે ઝગમગાટભરી આ દુનિયામાં કોઈની પણ તરફ સરળતાથી આકર્ષિત થઈ જવાય છે. મારો ઉછેર એવી રીતે થયો છે કે હું મોહિત થઈ જાઉં એવો નથી અને એના માટે હું મારા સૉલિડ બૅકગ્રાઉન્ડનો ઋણી રહીશ.’