04 August, 2020 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુશાંત સિંહ રાજપૂત, નીતીશ કુમાર
બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યા કેસ એક નવી સેકેન્ડે એક નવો વળાંક લઈ રહ્યો છે. સોમવારે અભિનેતાના પિતા કે.કે.સિંહે વીડિયો જાહેર કરીને મુંબઈ પોલીસ પર આક્ષેપ કર્યો હતો અને આ કેસમાં સીબીઆઈ તપાસ કરવાની માંગણી કરી હતી. ત્યારબાદ આજે અભિનેતના પિતાએ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પાસે સીબીઆઈ તપાસની માંગ કરી હતી અને મુખ્ય પ્રતધાને દરખાસ્ત આગળ મોકલવાની વાત કરી છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે આક્ષેપ કર્યો છે કે, બિહાર સરકાર સીબીઆઈ તપાસની ભલામણ કરીને COVID-19 સામે લડવામાં તેમની નિષ્ફળતાથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે.
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પરિવારની સહમતિ બાદ જ નિર્ણય લેવાનો હતો. અમે અગાઉ પણ કહેલું કે પરિવાર માગ કરશે એ પછી જ અમે આ દિશામાં આગળ વધીશું. આજે સુશાંતના પિતાએ અમારી પાસે આ માગ કરી છે એટલે હવે અમે પણ આ દરખાસ્ત આગળ મોકલી દઈશું. તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો: મુંબઈ પોલીસ પ્રોફેશનલી સુશાંત કેસની તપાસ કરી રહી છે: ગૃહપ્રધાન દેશમુખ
નીતીશ કુમારે એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આજે સવારે સુશાંત સિંહ રાજપૂતના પિતાની સાથે બિહારના ડીજીપીએ વાતચીત કરી. તેઓએ સીબીઆઈ તપાસની વાત પર સહમતિ દર્શાવી. ડીજીપીએ જ્યારે તેની જાણકારી આપી, ત્યારે CBI તપાસની ભલામણ કરવામાં આવી. સુશાંતના પિતાજીએ એફઆઈઆર નોંધાવી હતી અને તેના આધારે બિહાર પોલીસ તપાસ કરી રહી હતી. પરંતુ તમામ જગ્યાએથી એ માંગ થઈ રહી હતી કે મામલાની સીબીઆઈ તપાસ થાય. અમે શરૂઆતમાં જ કહ્યું હતું કે સુશાંતના પિતાજી ઈચ્છે તો સીબીઆઈ તપાસ કરાવીશું. આજે તેઓએ સહમતિ દર્શાવી, ત્યારબાદ ભલામણ કરવામાં આવી. આજે જ આ પ્રસ્તાવ મોકલવામાં આવશે.
ત્યારે મહારાષ્ટ્રના પ્રધાન અને એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું છે કે, નીતીશ કુમાર સરકાર સીબીઆઈ તપાસની ભલામણ કરીને COVID-19 સામે લડવામાં તેની નિષ્ફળતાથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. આ કેસમાં સીબીઆઈ તપાસની જરૂર જ નથી.
આ પણ વાંચો: મુંબઈ પોલીસ આરોપીની ભાષા બોલે છે, સુશાંતના કેસમાં ભડકેલા બિહારના ડીજીપી
તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત કેસની બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. અભિનેતાએ 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તે ડિપ્રેશનનો શિકાર હતો અને છ મહિનાથી સારવાર ચાલી રહી હતી. આ કેસની પોલીસ તપાસ ચાલી રહી છે. હજી સુધી પોલીસે લગભગ 40 લોકોની પૂછપરછ કરી છે.