મુંબઈ પોલીસ પ્રોફેશનલી સુશાંત કેસની તપાસ કરી રહી છે: ગૃહપ્રધાન દેશમુખ
મુંબઈ પોલીસ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની ‘અત્યંત પ્રોફેશનલ અભિગમ’ સાથે તપાસ કરી રહી હોવાનું મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે સોમવારે જણાવ્યું હતું.
જોકે પ્રધાને અભિનેતાના મોતને મામલે બિહાર પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસના સુપરવિઝન માટે રવિવારે અહીં આવી પહોંચેલા પટના શહેરના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ વિનય તિવારીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ ક્વૉરન્ટીન કર્યા એ સંદર્ભે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી.
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષ બીજેપી આ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે એવી માગણી કરી રહ્યો છે, જ્યારે રાજ્ય સરકારે આ માગણીને ફગાવી દીધી હતી.
વિનય તિવારી રવિવારે મુંબઈ આવ્યા હતા અને બીએમસીએ સબર્બન ગોરેગામસ્થિત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગેસ્ટ હાઉસમાં તેમને ૧૪ દિવસ માટે ક્વૉરન્ટીન કર્યા હતા. તેમના હાથ પર ૧૫ ઑગસ્ટ સુધીના ક્વૉરન્ટીન પિરિયડનો સ્ટૅમ્પ પણ મારવામાં આવ્યો હતો.
બિહારના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ ગુપ્તેશ્વર પાન્ડેએ આક્ષેપ કર્યો હતો કે વિનય તિવારીને મુંબઈમાં પાલિકા દ્વારા બળજબરીપૂર્વક ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા.
જોકે બીએમસીએ જણાવ્યું હતું કે બિહાર પોલીસના અધિકારીને ક્વૉરન્ટીન કરવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારના હુકમ અનુસાર હતો, જેમાં સ્થાનિક પ્રવાસીઓ માટેના નિયમોમાં જરૂરી હોમ ક્વૉરન્ટીન સહિતના નિયમોનો સમાવેશ થાય છે.