મુંબઈ પોલીસ આરોપીની ભાષા બોલે છે, સુશાંતના કેસમાં ભડકેલા બિહારના ડીજીપી
સુશાંતસિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી
સુશાંતસિંહ રાજપૂતના કેસમાં તપાસ માટે પટનાથી મુંબઈ આવેલા આઇપીએસ વિનય તિવારીને ૧૫ ઑગસ્ટ સુધી ક્વૉરન્ટીનમાં રાખવાના નિર્ણયને લીધે બિહાર પોલીસની નવી રણનીતિ નિષ્ફળ જતા બિહારના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (ડીજીપી) ગુપ્તેશ્વર પાંડેએ ગઈ કાલે ભારે આક્રોશ સાથે કહ્યું હતું કે, સુશાંતના સુસાઇડની ઉશ્કેરણીના કેસને પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની માગણી આરોપી રિયા ચક્રવર્તીએ કરી છે અને એ જ માગણી મુંબઈ પોલીસ પણ કરી રહી છે.
તેમણે આગળની કાર્યવાહીનો નિર્ણય લેવા પટનાના પોલીસ મુખ્યાલયમાં ઉચ્ચ કક્ષાની બેઠક યોજી હતી. રિયા ચક્રવર્તી અને તેનાં સગાંસંબંધીઓએ રાજપૂતનાં નાણાં તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાના આક્ષેપ બાદ રાજપૂતના પિતા કૃષ્ણ કિશોર સિંહના આરોપોને પગલે પટનામાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ગુપ્તેશ્વર પાંડે, બિહારના ડીજીપી
મુંબઈમાં વિનય તિવારીને ‘જબરદસ્તી ક્વૉરન્ટીન’ કરવા વિશે રોષ વ્યક્ત કરતાં બિહારના ડીજીપીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ભારતભરમાંથી અનેક પોલીસ-ટીમ પોતપોતાના કેસ સંદર્ભે બિહારની મુલાકાત લે છે અને બિહાર પોલીસ તેમને પૂર્ણ સહયોગ આપે છે. આ પહેલાં આવું કશું મેં ક્યારેય સાંભળ્યું નથી. જો મુંબઈ પોલીસ અમને સહકાર નહીં આપે તો અમે કેસની તપાસ કેવી રીતે કરીશું? અમે અમારા આગળના ઍક્શન કોર્સ પર કામ કરી રહ્યા છીએ.’
તેમણે ઉમેર્યું હતું કે ‘મુંબઈ પોલીસે આજ સુધી એફઆઇઆર નોંધ્યો નથી. તેઓએ માત્ર ઍક્સિડેન્ટલ ડેથનો રિપોર્ટ આપ્યો છે. સુશાંતસિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલો એકમાત્ર એફઆઇઆર પટનામાં નોંધવામાં આવ્યો છે. અમે કેસમાં નિષ્પક્ષ અને નિષ્પક્ષ તપાસની ઇચ્છા રાખીએ છીએ. આ મામલો બિહાર પોલીસ વિરુદ્ધ મુંબઈ પોલીસનો નથી, પરંતુ સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુનો છે, જેની સંપૂર્ણ તપાસ થવી જ જોઈએ અને તેની આત્મહત્યા પાછળનું રહસ્ય ખુલ્લું થવું જોઈએ અને સુશાંતસિંહને ન્યાય મળવો જ જોઈએ.’
આરોપી રિયા ચક્રવર્તી અને મુંબઈ પોલીસ બન્નેની માગણી છે કે આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો કેસ પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવે.
- ગુપ્તેશ્વર પાંડે, બિહારના ડીજીપી