31 July, 2026 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કાર્તિક આર્યનની ફાઇલ તસવીર
આસામ (Assam) વર્ષના સૌથી ભયાનક પૂરનો (Asaam Floods) સામનો કરી રહ્યું છે ત્યારે પીડિતોની મદદ માટે બોલિવૂડ (Bollywood) હસ્તીઓ આગળ આવી રહી છે. અભિનેતા સલમાન ખાન (Salman Khan) એ પોતાના એનજીઓ `બીઈંગ હ્યુમન` (Being Human) દ્વારા રાહત અભિયાન શરૂ કર્યા બાદ, હવે અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan) એ આસામના મુખ્યમંત્રી રાહત નિધિ (Assam Chief Minister`s Relief Fund) માં ૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
આસામના મુખ્યમંત્રી કાર્યાલયે ગુરુવારે સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (X) પર કાર્તિક આર્યને આપેલા યોગદાનની જાહેરાત (Kartik Aaryan donates for Asaam Floods) કરી હતી. ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે, ‘મુખ્યમંત્રી રાહત નિધિમાં ૧ કરોડ રૂપિયાના ઉદાર યોગદાન માટે અભિનેતા કાર્તિક આર્યનનો આભાર. મુખ્યામંત્રી ડૉ. હિમંત બિસ્વા સરમા (Himanta Biswa Sarma) એ રાજ્યના રાહત કાર્યો માટે તેમના આ પ્રશંસનીય પગલાં અને સમયસર આપેલા ટેકાની પ્રશંસા કરી છે.’
મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પણ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર અભિનેતાનો આભાર માનતા લખ્યું, ‘કાર્તિક આર્યન, તમારા આ ઉદાર યોગદાનથી ખરેખર હૃદય સ્પર્શી ગયું છે. તમારો આ સપોર્ટ આસામના લોકોને મદદ કરવામાં ખૂબ કામ આવશે.’
એક્ટર કાર્તિક આર્યનનું આ યોગદાન એવા સમયે આવ્યું છે જ્યારે મનોરંજન ક્ષેત્રના ઘણા કલાકારો પોતાના પ્રભાવ અને સંસાધનોનો ઉપયોગ આસામને મદદ કરવા માટે કરી રહ્યા છે. અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) એ પણ તાજેતરમાં લોકોને રાહત કાર્યોમાં યોગદાન આપવા અપીલ કરી હતી અને ધ્યાન દોર્યું હતું કે રાજ્ય લગભગ દર વર્ષે વિનાશક પૂરનો સામનો કરે છે.
આસામના વતની એવા ગાયક પૅપોન (Papon) એ પણ અસરગ્રસ્ત સમુદાયો માટે મદદની અપીલ કરી છે. ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) એ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આ માનવતાવાદી સંકટને ઉજાગર કર્યું હતું અને ફોલોઅર્સને માન્ય રાહત પ્રયાસોને સમર્થન આપવા પ્રોત્સાહિત કર્યા હતા.
બીજી તરફ, સલમાન ખાનની `બીઈંગ હ્યુમન ફાઉન્ડેશન` એ આસામમાં તેના ફેન નેટવર્ક સાથે મળીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં અનાજ અને આવશ્યક પુરવઠાનું વિતરણ શરૂ કર્યું છે.
કેટલાક સ્થળોએ પાણીના સ્તરમાં ઘટાડો થવા લાગ્યો છે, છતાં સમગ્ર સ્થિતિ હજુ પણ ગંભીર બની રહી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (Assam State Disaster Management Authority) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ મૃત્યુઆંક વધીને ૭૮ પર પહોંચી ગયો છે. સાત જિલ્લાઓમાં લાખો રહવાસીઓ પ્રભાવિત થયા છે, જેમાં ઘણા પરિવારો ઘરવિહોણા થયા છે અને રોજીરોટી તથા મૂળભૂત જરૂરિયાતોની અછતનો સામનો કરી રહ્યા છે.
રાહત ટુકડીઓ અને સ્થાનિક તંત્ર બચાવ, પુનર્વસન અને પુરવઠા વિતરણમાં સતત કાર્યરત છે. મુખ્યમંત્રી રાહત નિધિમાં મળતું આ યોગદાન આ કામગીરીને વધુ મજબૂત બનાવશે અને આપત્તિમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલા લોકોને સહારો આપશે.