26 June, 2025 08:28 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
અનિલ કપૂર હૃષીકેશ પહોંચ્યો હતો
હાલમાં અનિલ કપૂર હૃષીકેશ પહોંચ્યો હતો અને અહીં પરમાર્થ નિકેતનના અધ્યક્ષ સ્વામી ચિદાનંદ સરસ્વતી અને સાધ્વી ભગવતી સરસ્વતીના સાંનિધ્યમાં મોટા ભાઈ બોની કપૂર સાથે મા ગંગાની આરતીમાં ભાગ લીધો. તેમની આ ગંગા-આરતીનાં વિડિયો અને તસવીરો સામે આવ્યાં છે. આ મુલાકાત પછી સ્વામી ચિદાનંદે અનિલ કપૂર અને બોની કપૂરને રુદ્રાક્ષનો છોડ ભેટ આપીને આશીર્વાદ આપ્યા અને તેમની ફિલ્મો દ્વારા ધર્મ, સેવા, સંસ્કાર અને સંવેદના ફેલાવવા માટે પ્રેરિત કર્યા. સ્વામીજીએ કહ્યું કે કપૂરપરિવાર ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને સિનેમા દ્વારા દેશના યુવાનોને પ્રેરણા આપી રહ્યો છે. આ પ્રસંગે અનિલ કપૂર અને બોની કપૂરે તેમના પિતા સુરિન્દર કપૂર અને માતા નિર્મલ કપૂરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.