29 November, 2021 01:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષ શર્મા
આયુષ શર્માનું કહેવું છે કે તે સલમાન ખાન સાથે તેનાં લગ્નની ચર્ચા નથી કરતો. આયુષનું માનવું છે કે સલમાન પોતાની લાઇફમાં ખુશ છે. આયુષે ‘લવ યાત્રી’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. સલમાન અને આયુષની ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રૂથ’ પચીસ નવેમ્બરે રિલીઝ થઈ છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં સલમાનની લાઇફ વિશે આયુષે કહ્યું હતું કે ‘તેમનાં લગ્નના મુદ્દા વિશે હું તેમની સાથે ચર્ચા નથી કરતો. જે રીતે તેઓ પોતાની લાઇફ જીવે છે, કામ કરે છે તો મને નથી લાગતું કે તેમની પાસે લગ્ન કરવાનો સમય હોય. તેઓ જેવા છે એ જોઈને મને પણ ખુશી છે. પોતાના નિર્ણય તેઓ જાતે જ લે છે.’
સલમાનના સ્વભાવ વિશે આયુષે કહ્યું હતું કે ‘હું તેમના જેવો સીધોસાદો નથી. સલમાન માટે મૂળભૂત જરૂરિયાત એટલે તેમનું ઘર, તેમની લાઇફસ્ટાઇલ, તેમની રહેણી-કરણી ખૂબ જ સરળ છે. જો તમે તેમના ફોન વિશે પૂછશો તો તે બે-ત્રણ વર્ષ જૂનો ફોન વાપરે છે. તેમને ફોનમાં કોઈ રસ નથી. તેમને કારમાં પણ રસ નથી. તેમને મોંઘાંદાટ કપડાંમાં પણ રસ નથી. તેમને ઘરમાં લેટેસ્ટ ગૅજેટ વસાવવાની પણ ઇચ્છા નથી હોતી. મને લાગે છે કે તેમને માત્ર ફિલ્મોમાં જ રસ છે. જો તમે તેમને ૩-૪ કલાક માટે એકલા છોડી દો તો તેઓ આખો સમય ફિલ્મો જોવામાં પસાર કરશે.’