વર્લ્ડ ક્લાસ રોહિત શર્મા માટે બનશે ખાસ રણનીતિ

05 January, 2021 03:35 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ ક્લાસ રોહિત શર્મા માટે બનશે ખાસ રણનીતિ

રોહિત શર્મા

ઇન્ડિયાના હિટમૅન રોહિત શર્માનો ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટ મૅચમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ દિગ્ગજ બૅટ્સમૅન માટે ઑસ્ટ્રેલિયન ટીમ રણનીતિ બનાવીને રમશે એ વાતની સ્પષ્ટતા ઑસ્ટ્રેલિયન પ્લેયર નૅથન લાયને કરી હતી. સિડની ટેસ્ટ નૅથન લાયનની ટેસ્ટ કરીઅરની ૯૯મી ટેસ્ટ હશે.

રોહિત માટે ખાસ રણનીતિ

નૅથન લાને કહ્યું હતું કે ‘સ્વાભાવિક વાત છે કે રોહિત શર્મા વિશ્વના શ્રેષ્ઠ પ્લેયરોમાંનો એક છે માટે તેની સામે રમવું બોલર્સ માટે પણ પડકાર હશે છતાં અમે એમાંથી માર્ગ કાઢીને આગળ વધીશું, કેમ કે અમને પણ પોતાને ચૅલેન્જ આપવાનું ગમશે. રોહિત ઇન્ડિયન ટીમમાં સામેલ થવાથી તેમને ઘણો ફાયદો થશે. સાથે-સાથે એ જોવું પણ રસપ્રદ રહેશે કે રોહિત આવવાથી ટીમમાંથી કોણ બહાર જાય છે.’

રોહિત શર્મા માટેની રણનીતિ વિશે વાત કરતાં નાથન લાયને કહ્યું કે ‘રોહિત માટે અમે અમારી યોજના તૈયાર કરીશું અને આશા કરીએ છીએ કે એ દિગ્ગજ પ્લેયરને વહેલો પૅવિલિનભેગો કરી દઈએ.’

રહાણેનો શાંત સ્વભાવ તેની તાકાત

ઇન્ડિયન ટેસ્ટ ક્રિકેટ ટીમના કૅપ્ટન અજિંક્ય રહાણેનાં વખાણ કરતાં નાથન લાયને કહ્યું કે ‘રહાણે પણ એક વિશ્વકક્ષાનો બૅટ્સમૅન છે, જે દરેક બાબતમાં મદદ કરે છે. મને લાગે છે કે મેદાનમાંના તેના શાંત સ્વભાવને લીધે તે ક્યારેય ફ્રસ્ટ્રેટ નથી થતો. તે ક્યારેય સ્લેજિંગ કે કોઈ વાતચીતમાં વચ્ચે નથી પડતો. તે ઘણો શાંત અને એક ઉત્તમ કક્ષાનો બૅટ્સમૅન છે. વિરાટની ગેરહાજરીમાં તે ટીમને સારી રીતે સંભાળી રહ્યો છે, પણ અમારે અમારી યોજના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં કારગત સાબિત કરી બતાવવાની છે.’

ઉલ્લેખનીય છે કે રોહિત શર્માને ટીમ ઇન્ડિયાના વાઇસ કૅપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. રોહિતે અત્યાર સુધી ૩૨ ટેસ્ટ મૅચમાં ૨૧૪૧ રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે તે ડબલ સેન્ચુરી પણ ફટકારી ચૂક્યો છે. તે ઑક્ટોબર ૨૦૧૯માં સાઉથ આફ્રિકા સામે રાંચી ટેસ્ટમાં ૨૧૨ રનની અફલાતૂન ઇનિંગ્સ રમ્યો હતો.

વૉર્નર અમારી ટીમનો એક્સ-ફૅક્ટર

બીજી ટેસ્ટમાં અણધારી હાર બાદ ઑસ્ટ્રેલિયન ટીમ મમૅનેજમેન્ટ ઇન્જર્ડ ઓપનર ડેવિડ વૉર્નરને ૧૦૦ ટકા ફિટ ન હોય તો પણ રમાડવા ઉત્સુક છે. લાયને આ બાબતે કહ્યું હતું કે ‘વોર્નર ટીમમાં એક્સ-ફૅક્ટર લઈ આવે છે. તે એક વર્લ્ડ ક્લાસ ખેલાડી છે. અમે બધા જાણીએ છીએ અને આશા રાખી રહ્યા છીએ કે સિડની ટેસ્ટ પહેલાં તે સંપૂર્ણ રીત મૅચ રમવા માટે ફિટ થઈ જાય. આ જાહેર બાબત છે એને આખી ઑસ્ટ્રેલિયન ડ્રેસિંગરૂમનું સમર્થન હાંસલ છે. અમે વૉર્નરને ફરી ઑસ્ટ્રેલિયન ટૉપ ઑર્ડરમાં રમતો જોવા માગીએ છીએ.’

ઑસ્ટ્રેલિયન ટીમે છેલ્લી બન્ને ટેસ્ટમાં પહેલી બે ટેસ્ટ રમનાર ઓપનર જૉ બર્ન્સને ડ્રૉપ કરીને વૉર્નર અને વિલ પુકોવ્સકીનો ટીમમાં સમાવેશ કર્યો છે.

ચોથી ટેસ્ટ બ્રિસ્બેનમાં જ રમાશે

લાયન ૧૦૦ ટકા કૉન્ફિડન્સ છે કે આ સિરીઝની ચોથી અને છેલ્લી ટેસ્ટ બ્રિસ્બેનમાં જ રમાશે. લાયને આ બાબતે કહ્યું હતું કે અમે ૧૦૦ ટકા બ્રિસ્બેન જઈ રહ્યા છીએ અને અમારા પ્લાન-‘એ’ને અમલમાં મૂકીશું. અત્યારે તો અમે સિડનીનો પ્રવાસ કર્યો છે અને આશા કરીએ છીએ કે ચોથી ટેસ્ટ બ્રિસ્બેનમાં રમાશે. બધાને ખબર છે કે બ્રિસ્બેનમાં ગાબા મેદાનમાં રમવું અમને કેટલું ગમે છે અને અમારો રેકૉર્ડ પણ ત્યાં સારો છે માટે અમે ત્યાં જવાની પૂરી તૈયારીમાં છીએ.  સાચું કહું તો હું પ્લાન-‘બી’ વિશે અથવા ગાબામાં ન રમવા વિશે જરાય નથી વિચારી રહ્યો. ગાબામાં અમે રમીશું એ વિચારીને જ અમે તૈયારી કરી રહ્યા છીએ.

ભારતીય ટીમ બ્રિસ્બેનના કપરા ક્વૉરન્ટીનમાં રહેવા ન માગતી હોવાના સમાચારને લીધે ચોથી ટેસ્ટ મૅચનો વેન્યુ બદલવાનો વિવાદ ઊભો થયો હતો.

sports sports news cricket news india australia rohit sharma