27 March, 2022 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી અસલી રંગમાં દેખાશે : ગાવસકર
સુનીલ ગાવસકરના મતે બૅન્ગલોરની ટીમે કૅપ્ટન બદલ્યો છે એથી આઇપીએલમાં વિરાટ કોહલીના ૨૦૧૬ના સીઝન જેવું પ્રદર્શન જોવા મળી શકે છે, જેમાં તેણે ૯૦૦ કરતાં વધુ રન બનાવ્યા હતા. આજે જ્યારે બૅન્ગલોર આઇપીએલની પહેલી મૅચમાં પંજાબ સામે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમવા ઊતરશે તો કોહલી તમામના આકર્ષણનું કેન્દ્ર હશે. જોકે આ વખતે તે એક ખેલાડી તરીકે મેદાનમાં ઊતરશે. સ્ટાર સ્પોર્ટ્સના ‘ગેમ પ્લાન’ નામના શોમાં વાતચીત કરતાં ગાવસકરે કહ્યું હતું કે ‘કોહલી ફરી કૅપ્ટન્સી સંભાળશે કે નહીં એ આપણે નથી જાણતા, પરંતુ ઘણી વખત ખેલાડીને કૅપ્ટન્સીના ભારથી રાહત મળે છે ત્યારે તે સારું પ્રદર્શન કરે છે, કારણ કે તેણે અન્ય ૧૦ ખેલાડીઓ વિશે વિચારવાનું નથી હોતું.’
ગાવસકરે કહ્યું કે ‘આ વખતે આપણને ૨૦૧૬ની સીઝનનો વિરાટ કોહલી જોવા મળી શકે છે, જેમાં તેણે લગભગ ૧૦૦૦ રન બનાવ્યા હતા. ૨૦૧૨માં કોહલી બૅન્ગલોરનો કૅપ્ટન નહોતો. ત્યાર બાદ તેણે ન્યુ ઝીલૅન્ડના ડૅનિયલ વિટોરી પાસેથી કૅપ્ટન્સી સંભાળી હતી.