06 March, 2021 11:15 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી
ઇંગ્લૅન્ડ સામેની અંતિમ ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગ્સમાં વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયનમાં પાછો ફર્યો હતો જેને લીધે તેણે મહેન્દ્ર સિંહ ધોનીના એક રેકૉર્ડની બરાબરી કરી લીધી હતી. ગઈ કાલે ટેસ્ટ ક્રિકેટમાં કપ્તાન તરીકે આઠમી વાર ઝીરો પર આઉટ થતાં વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ઝીરો પર આઉટ થવાના ધોનીના રેકૉર્ડની બરાબરી કરી લીધી હતી. આ ઉપરાંત એક જ ટેસ્ટ સિરીઝમાં બે વાર ઝીરો પર આઉટ થવાની ઘટના પણ તેની સાથે બીજી વાર બની હતી. ઇંગ્લૅન્ડ સામે ચાલી રહેલી આ સિરીઝમાં વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વિના મોઇન અલીનો શિકાર બન્યો હતો. આ પહેલાં ૨૦૧૪માં ઇંગ્લૅન્ડમાં રમતા લિઆમ પ્લન્કેટ અને જેમ્સ ઍન્ડરસને કોહલીને ઝીરો પર આઉટ કર્યો હતો. કોહલી અત્યાર સુધી ટેસ્ટ કરીઅરમાં કુલ ૧૨ વખત ઝીરો પર આઉટ થયો છે, જેમાંથી પાંચ વાર ઇંગ્લૅન્ડ સામે ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયનમાં પાછો ફર્યો છે.