23 March, 2021 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર
ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૪મી સીઝન રમાશે. આ ટુર્નામેન્ટ બાદ ભારતીય ટીમ આઇસીસી ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ રમશે. જે પ્લેયરો આ ફાઇનલમાં નહીં રમે એ મોટા ભાગે ફુરસદમાં જ હશે. શ્રેયસ ઐયરે પણ પોતાના ફુરસદના સમયનો લાભ લેવા મહત્ત્વનો નિર્ણય લીધો છે જેને લીધે તેને ટેસ્ટ ક્રિકેટમાં રમવામાં ફાયદો થઈ શકે છે.
૨૦૨૧માં શ્રેયર ઐયર રૉયલ લંડન કપમાં લેન્કેશર માટે રમતો જોવા મળશે. આ ટુર્નામેન્ટ માટે તે ૨૦૨૧ની ૧૫ જુલાઈએ ઓલ્ડ ટ્રેફર્ડ પહોંચશે. જોકે એવી પણ ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શ્રેયસ આવનારા સમયમાં ઇંગ્લૅન્ડમાં રમાતી કાઉન્ટી ક્રિકેટ પણ રમી શકે છે, જેને લીધે તેને ટેસ્ટ ટીમમાં મિડલ ઑર્ડરમાં રમવામાં મદદ મળી શકે છે. હાલની તારીખમાં ભારતીય ટેસ્ટ ટીમ પાસે વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેનો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી.
વન-ડે ફૉર્મેટમાં રમાતા રૉયલ લંડન કપની સીઝન ૨૨ જુલાઈથી ૧૯ ઑગસ્ટ સુધી રમાશે. આ સમયગાળા દરમ્યાન ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ ટૂર પર હશે.