18 February, 2020 11:58 AM IST | Mumbai | Clayton Murzello
કરસન ઘાવરી
રણજી મૅચમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના હેક્ટિક શેડ્યુલને કારણે જાણે તેમની અગ્નિપરીક્ષા લેવાઈ રહી છે. રાજકોટથી અમદાવાદ છ કલાકની બસની જર્ની પછી અમાદાવાદથી ચેન્નઈ ફ્લાઇટમાં બે કલાક ૧૫ મિનિટની જર્ની ત્યાર બાદ ચેન્નઈથી સાડાસાત કલાકની બસ જર્ની કરી ટીમ આંધ્ર પ્રદેશના ઓન્ગોલે પહોંચી હતી જ્યાં ટીમ ગુરુવારથી ક્વૉર્ટર ફાઇનલ મુકાબલો રમશે.
સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ઇન્ડિયન ઑલરાઉન્ડર કોચ કરસન ઘાવરીએ આ મુદ્દે વાત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા છોકરાઓ ઘણા કંટાળી ગયા છે. અહીં રમવા માટે જે ટ્રાવેલ કરવું પડ્યું છે એ વિચારી પણ ન શકાય એવું છે. મને ખબર નથી પડતી કે આ મૅચ વિશાખાપટ્ટનમમાં કેમ નથી રમાડાતી. કદાચ તે લોકો વિચારતા હશે કે તેઓ અમને અહીં હરાવી શકશે તો વાંધો નહીં, અમે કોઈ પણ કન્ડિશનમાં રમવા તૈયાર છીએ.’
સૌરાષ્ટ્રની ટીમ દિલ્હી, હૈદરાબાદ અને કેરળ સામેની મૅચ જીતી ચૂકી છે. વધારે વાત કરતાં ઘાવરીએ કહ્યું હતું કે ‘વ્યક્તિગત રીતે હું ટ્રાવેલ પ્લાનથી ખુશ નથી. જો પ્લેયરોએ આવું ટ્રાવેલિંગ કરવું પડે તો આ ઇન્ડિયન ક્રિકેટ માટે સારી વાત નથી. ભારતીય ક્રિકેટ બોર્ડની ફિક્ચર કમિટીએ આ બાબતે વિચારવાની જરૂરત છે. ક્વૉર્ટર ફાઇનલ જેવી મોટી મૅચ કોઈ સારા સેન્ટરમાં રમાડવી જોઈએ. અમારી હોટેલ પણ થર્ડ ગ્રેડની છે.’