04 September, 2019 05:08 PM IST | વડોદરા
જમ્મુ કાશ્મીરની ટીમના કોચ ઈરફાન પઠાણે ડોમેસ્ટિક ક્રિકેટ સિઝન પહેલા એક મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી સિઝનની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ઈરફાન પઠાણે જમ્મુ કાશ્મીરની રણજી ટીમ માટે વડોદરામાં જ ટીમનો કેમ્પ લગાવવાનો નિર્ણય કર્યો છે. ઈરફાન પઠાણે આ વાતની માહિતી આપતા કહ્યું કે ટીમનો કેમ્પ 6 સપ્ટેમ્બરથી વડોદરામાં શરૂ થશે. અને જમ્મુ કાશ્મીરની ટીમ માટે આ ખૂબ જ મહત્વનો કેમ્પ હશે.
ઈરફાને કહ્યું, 'ટીમના તમામ ખેલાડીઓને એક જગ્યાએ એક્ઠા થવા કહેવાયું છે. ટીમમાં કુલ 27 ખેલાડીઓ છે, જેમાંથી કેટલાક જમ્મુના છે અને કેટલાક કાશ્મીરના છે. આ પહેલા અમે બેઠક કરી હતી, જેમાં એ નક્કી કરાયું હતું કે અમે સ્થાનિક ટીવી ચેનલ દ્વારા એક જાહેરાત આપીશું. ખેલાડીઓ જમ્મુમાં ભેગા થઈ ચૂક્યા છે, ટીમનો કેમ્પ વડોદરામાં લાગશે. આ કેમ્પ મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગુરુવારે શરૂ થશે.'
ઉલ્લેખનીય છે કે ડોમેસ્ટિક ક્રિકેટ સિઝન શરૂ થઈ ચૂકી છે. હાલ દુલીપ ટ્રોફીની મેચ રમાઈ રહી છે. તેના તરત બાદ 50-50 ઓવરના ફોર્મેટની વિજય હઝારે ટ્રોફી શરૂ થશે. તો 9 ડિસેમ્બરથી રણજી ટ્રોફીની લીગની મેચ શરૂ થશે.
આ પણ વાંચોઃ પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો
તમને જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ સંઘની ક્રિકેટને લગતી તમામ કાર્યવાહી હાલ રોકી દેવાઈ છે. JKCAના અધિકારીઓએ કેટલાક દિવસો પહેલા આ માહિતી આપતા કહ્યું હતું કે ટીમના તમામ ખેલાડીઓને સુરક્ષાના કારણે રાજ્ય છોડી દેવા કહેવાયું છે.