ડોમેસ્ટિક મૅચ રમ્યો એટલે મને લય જાળવી રાખવામાં મદદ મળી : રવીન્દ્ર જાડેજા

11 February, 2025 07:48 AM IST  |  Cuttack | Gujarati Mid-day Correspondent

રણજી ટ્રોફી ૨૦૨૪-’૨૫માં સૌરાષ્ટ્ર તરફથી રમતાં આ સ્પિનર દિલ્હી સામે ૧૨ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

રવીન્દ્ર જાડેજા

ભારતીય ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ હાલમાં તેના શાનદાર ફૉર્મનું શ્રેય ડોમેસ્ટિક ક્રિકેટને આપ્યું છે. રણજી ટ્રોફી ૨૦૨૪-’૨૫માં સૌરાષ્ટ્ર તરફથી રમતાં આ સ્પિનર દિલ્હી સામે ૧૨ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. વન-ડે સિરીઝ પહેલાં ઇન્જરીથી બચવા તેણે આસામ સામેની મૅચમાં બોલિંગ કરી નહોતી.

કટકમાં વન-ડે મૅચ પછી પ્રેસ-કૉન્ફરન્સમાં જાડેજાએ કહ્યું હતું કે ‘ખરેખર સારું લાગે છે. ખાસ કરીને વર્લ્ડ કપ પછી લગભગ બે વર્ષ પછી આ ફૉર્મેટમાં પાછા ફરવા માટે ઝડપી લય મેળવવો જરૂરી છે, પરંતુ મારું માનવું છે કે મેં રમેલી ડોમેસ્ટિક મૅચોથી મને ઘણી મદદ મળી. એ મૅચોમાં મેં ૩૦થી વધુ ઓવર બોલિંગ કરી, જેનાથી મને લય જાળવી રાખવામાં મદદ મળી. ટેસ્ટ-મૅચમાં બોલિંગ કરતી વખતે જે લાઇન અને લેન્થ બોલિંગ કરી હતી એ જ લાઇન અને લેન્થ મેં વન-ડેમાં જાળવી રાખવાનો પ્રયાસ કર્યો. બ્રેક ખૂબ લાંબો ન હોવાથી લય અકબંધ રહ્યો. એથી મને લાગે છે કે ડોમેસ્ટિક મૅચ રમવાથી મને લય જાળવવામાં મદદ મળી.’

ઇંગ્લૅન્ડ સામે પહેલી વન-ડેમાં ૨૬ રન અને બીજીમાં ૩૫ રન આપીને તેણે ૩-૩  વિકેટ ઝડપી છે.

જાડેજાએ માત્ર ૭૩ સેકન્ડમાં ઓવર પૂરી કરી 
સામાન્ય રીતે એક બોલરને એક ઓવર પૂરી કરતાં પાંચ મિનિટથી ઓછો સમય લાગે છે, પણ બીજી વન-ડેમાં ૨૪મી ઓવરમાં જાડેજાએ હૅરી બ્રુક સામે એક પણ રન આપ્યા વગર માત્ર ૭૩  સેકન્ડમાં ઓવર પૂરી કરી હતી. આ પહેલાં તેણે ૨૦૨૧માં ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ-મૅચમાં ૬૪ સેકન્ડ અને ૨૦૨૩ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ૯૪ સેકન્ડમાં ઓવર પૂરી કરી હતી.

ravindra jadeja india england indian cricket team ranji trophy cricket news sports news sports