રોહિત, જાડેજા અને અક્ષરને લીધે ભારત મૅચમાં ફ્રન્ટફુટ પર

11 February, 2023 01:43 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નાગપુર ટેસ્ટમાં બીજા દિવસે ટીમ ઇન્ડિયાએ ઑસ્ટ્રેલિયાના ૧૭૭ સામે ૭ વિકેટે ૩૨૧ રન કરીને લીધી ૧૪૪ રનની લીડ

ગઈ કાલે નાગપુર ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ રોહિત શર્મા. (ડાબે) અને ટેસ્ટના બીજા દિવસે રવીન્દ્ર જાડેજા સાથે ચર્ચા કરતો અક્ષર પટેલ.

નાગપુર ટેસ્ટના બીજા દિવસે કૅપ્ટન રોહિત શર્માએ ઑસ્ટ્રેલિયાના બોલિંગ-આક્રમણ સામે શાનદાર સદી ફટકારી હતી. એને કારણે ભારતે બીજા દિવસના અંતે ૭ વિકેટે ૩૨૧ રન કર્યા બાદ નિર્ણાયક ૧૪૪ રનની લીડ લીધી હતી. રોહિતે અત્યંત સંયમથી રમીને ૧૨૦ રન બનાવ્યા હતા. આમ તે ત્રણેય ફૉર્મેટમાં સદી કરનાર પહેલો ભારતીય કૅપ્ટન બન્યો છે. રોહિતની નવી ટેસ્ટ-સદી ભલે મૂલ્યવાન હોય, તો રવીન્દ્ર જાડેજાના નૉટઆઉટ ૬૬ રન પણ એટલા જ મહત્ત્વના છે. તેણે રોહિત સાથે છઠ્ઠી વિકેટ માટે ૬૧ રન અને અક્ષર પટેલ (૫૨ નૉટઆઉટ) સાથે આઠમી વિકેટ માટે ૮૧ રનની પાર્ટનરશિપ કરીને પોતાની ઉપયોગિતા ફરી પુરવાર કરી છે. 

કૅપ્ટનની પુજારા જેવી ધીમી રમત

રોહિત અને જાડેજા માટે આ પાર્ટનર  શિપ બહુ પડકારજનક હતી, કારણ કે ધીમી પિચ પર અન્ય બૅટરને રન કરવાનું અત્યંત મુશ્કેલ લાગ્યું હતું ત્યારે રોહિતે એકાગ્રતા જાળવી રાખી હતી. ચેન્નઈમાં તેણે ઇંગ્લૅન્ડ સામે જે રીતે ૧૬૧ રન બનાવ્યા હતા એ જ રીતે આ રન પણ બનાવ્યા હતા. સ્પિનર નૅથન લાયને ૯૮ રનમાં ૧ વિકેટ અને ટોડ મર્ફીએ ૮૨ રનમાં પાંચ વિકેટ લીધી હતી. બન્ને બોલરે રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરી હતી અને રનના પ્રવાહને રોકવા આંશિક રીતે સફળ રહ્યા હતા. રોહિતે ૧૭૧ બૉલમાં સદી પૂરી કરી હતી. તેણે ચાર કલાકથી વધુ સમયમાં ૧૫ બાઉન્ડરી અને બે સિક્સર ફટકારી હતી. જોકે તેણે સ્ટ્રાઇક રોટેટ રાખી હતી. રોહિતે તેની આક્રમક બૅટિંગને અંકુશમાં રાખીને જાણે ચેતેશ્વર પુજારાનો વેશ ધારણ કર્યો હોય એ રીતે રમતો હતો. સદી સુધી પહોંચવામાં પણ તેણે કોઈ ઉતાવળ કરી નહોતી. સદી પૂરી થયા બાદ તેણે હેલ્મેટ કાઢી નહોતી, માત્ર ડ્રેસિંગરૂમ તરફ જોયું હતું. પૅટ કમિન્સે નવા બૉલ લઈ રોહિતને આઉટ કર્યો હતો. 

આ પણ વાંચો: જાડેજાનો ડુપ્લિકેટ શોધવાનું કેમ ભૂલી ગયું ઑસ્ટ્રેલિયા?

મર્ફીએ લીધી પાંચ વિકેટ

રોહિત આઉટ થઈ જતાં જાડેજા અડીખમ હતો, તેને ઑલરાઉન્ડર અક્ષર પટેલનો સાથ મ‍ળતાં બન્નેએ ભારતની સ્થિતિને મજબૂત કરી હતી. વિરાટ કોહલી (૧૨), પહેલી મૅચ રમનાર સૂર્યકાંત યાદવ (૮) અને કોના ભરત (૮) વધુ રન ન કરી શકતાં નિરાશ હતા. યુવા બોલર ટોડ મર્ફીએ જે રીતે ચેતેશ્વર પુજારાને આઉટ કર્યો હતો એ પ્રમાણે કોહલીને પણ આઉટ કર્યો હતો. તેણે કુલ પાંચ વિકેટ લીધી હતી. લાયને સૂર્યકુમાર યાદવની વિકેટ લીધી હતી.  

1
ત્રણેય ફૉર્મેટમાં સદી કરનાર રોહિત આટલામો ભારતીય કૅપ્ટન બન્યો છે. તેણે કૅપ્ટન તરીકે વન-ડેમાં ત્રણ અને ટી૨૦માં બે સદી ફટકારી છે. તિલકરત્ને દિલશાન, ફૅફ ડુ પ્લેસી અને બાબર આઝમ આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે. 

sports sports news indian cricket team cricket news test cricket rohit sharma ravindra jadeja axar patel australia