10 August, 2026 01:52 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent
ભારતીય કૅપ્ટન શુભમન ગિલ અને યશસ્વી જાયસવાલે ૨૦ ઓવરમાં ૧૦૫ રનની ભાગીદારી કરી હતી.
કોલંબોમાં લોકલ શ્રીલંકન ઇલેવન સામેની વૉર્મ-અપ મૅચમાં ભારતીય ટીમે ૬ વિકેટે જીત નોંધાવી હતી. પહેલી ઇનિંગ્સ ૩૬૩-૮ અને બીજી ઇનિંગ્સ ૨૦૦-૬ના સ્કોરે ડિક્લેર કરીને લોકલ ટીમે ૨૦૭ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૩૫૭-૬ કરનાર ભારતીય ટીમે ૪૫ ઓવરમાં ૨૧૪-૪નો સ્કોર કરીને ૨૦૭ રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો હતો.
ત્રીજા અને અંતિમ દિવસની રમતની શરૂઆતમાં ભારતે બીજા દિવસના અંતિમ સ્કોર ૩૫૭-૬ પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી હતી. બીજી ઇનિંગ્સમાં શ્રીલંકાના નિશાન મદુશ્કાએ ૭૩ બૉલમાં ૬૩ રન અને નિપુણ ધનંજયે ૫૬ બૉલમાં ૪૬ રન કર્યા હતા. ભારત તરફથી બીજી ઇનિંગ્સમાં ફાસ્ટ બોલર ગુરનૂર બરાડ અને સ્પિનર રવીન્દ્ર જાડેજાએ ૨-૨ વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને એક-એક વિકેટ મળી હતી. રન-ચેઝ દરમ્યાન ઓપનર યશસ્વી જાયસવાલે ૪૬ બૉલમાં ૯ ફોર અને બે સિક્સના આધારે ૬૧ રન કર્યા હતા. બે દિવસ ઇન્જરીને કારણે બ્રેક લેનાર કૅપ્ટન શુભમન ગિલે ઓપનિંગ દરમ્યાન ૫૪ બૉલમાં સાત ફોરની મદદથી ૪૪ રન કર્યા હતા. રિષભ પંતે ૨૮ રન, ધ્રુવ જુરેલે ૧૭ રન અને રવીન્દ્ર જાડેજાએ બાવીસ રનનું યોગદાન આપ્યું હતું. નવમા ક્રમે રમી રહેલા મોહમ્મદ સિરાજે ૧૫ બૉલમાં ૧ ફોર અને ૪ સિક્સના આધારે અણનમ ૩૨ રન કર્યા હતા. અંતિમ ઓવરમાં જ્યારે ૧૬ રનની જરૂર હતી ત્યારે તેણે પહેલા ત્રણ બૉલ પર સતત ત્રણ સિક્સ ઝૂડી હતી.
ભારતીય ઓપનર સાઈ સુદર્શનને શ્રીલંકા સામેની ટેસ્ટ-શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે. હાલમાં ૨૪ વર્ષનો સાઈ સુદર્શન સેન્ટર ઑફ એક્સલન્સમાં જમણા પગના અંગૂઠાના સ્ટ્રેસ રિઅૅક્શનમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. BCCIની મેડિકલ ટીમ તેની રિકવરી પર નજીકથી નજર રાખી રહી છે.
મેન્સ સિલેક્શન કમિટીએ શ્રીલંકા સામેની બે મૅચની ટેસ્ટ-સિરીઝ માટે ટીમમાં સુદર્શનના સ્થાને સરફરાઝ ખાનને સામેલ કર્યો છે. ૨૮ વર્ષનો સરફરાઝ છેલ્લે વાનખેડે સ્ટેડિયમમાં ન્યુ ઝીલૅન્ડ સામે નવેમ્બર ૨૦૨૪માં ભારત તરફથી ટેસ્ટ-મૅચ રમ્યો હતો. આ મુંબઈકર ભારત માટે ૬ ટેસ્ટ-મૅચમાં એક સદી અને ત્રણ ફિફ્ટી સહિત ૩૭૧ રન ફટકારી ચૂક્યો છે.