18 January, 2021 03:28 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યાએ સ્વ. પિતા સાથે
શનિવારે ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું તેમના વડોદરાસ્થિત નિવાસસ્થાને હાર્ટ-અટૅકથી નિધન થયું હતું. એવામાં શોકગ્રસ્ત હાર્દિકે ગઈ કાલે પોતાના સ્વર્ગસ્થ પિતાને એક લાગણીભર્યો પત્ર લખ્યો હતો અને તેમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી હતી.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં હાર્દિકે લખ્યું કે ‘મારા પિતા અને મારા હીરોને, તમને જીવનમાંથી ગુમાવ્યા હોવાનો સ્વીકાર કરવો અમારા માટે પણ અઘરો છે. તેમ છતાં, તમે અમારા માટે ઘણી સારી યાદો મૂકીને ગયા છો, જેમાં અમે માત્ર કલ્પના કરી શકીએ છીએ કે તમે હસી રહ્યા છો. તમારા દીકરા આજે ત્યાં ઊભા છે એ માત્ર તમારા લીધે, તમારી મહેનત અને તમારા આત્મવિશ્વાસને લીધે જ શક્ય બન્યું છે અને એ માટે તમે હંમેશાં ખુશી વ્યક્ત કરી છે. તમારા વગર ઘરમાં એન્ટરટેનમેન્ટની કમી મહેસૂસ થશે. અમે તમને ઘણો જ પ્રેમ કરીએ છીએ અને તમારું નામ હંમેશાં ટૉપ પર રહેશે. મને ભરોસો છે કે તમે જે પ્રમાણે અમને અહીં જોતા હતા એ પ્રમાણે ઉપરથી પણ જોયા રાખશો. તમને અમારા પર ગર્વ હતો, પણ પપ્પા, જે પ્રમાણે તમે તમારું જીવન જીવ્યા છો એ જોતાં અમને તમારા પર ગર્વ છે. જે પ્રમાણે મેં ગઈ કાલે પણ કહ્યું હતું એક છેલ્લી રાઇડ કરીએ. ઈશ્વર મારા કિંગના આત્માને શાંતિ આપે. મારા જીવનના પ્રત્યેક દિવસે હું તમને મિસ કરીશ. લવ યુ ડેડી.’
ઉલ્લેખનીય છે કે હાર્દિક અને કૃણાલ પંડ્યા પિતાના નિધન પર ઇરફાન પઠાણ, વિરાટ કોહલી અને આકાશ ચોપડાએ શોક પ્રગટ કર્યો હતો.