28 February, 2021 01:24 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
જ્યૉફ્રી બૉયકૉટ
ટર્નિંગ ટ્રૅક પર ત્રીજી ટેસ્ટમાં ભારતીય સ્પિનરો સામે ઝૂકી જઈને ઇંગ્લૅન્ડ માત્ર બે જ દિવસમાં પરાસ્ત થઈ ગયું હતું. આ પરાજયને લીધે ઇંગ્લૅન્ડના અનેક ભૂતપૂર્વ ક્રિકેટરો પિચને દોષ આપીને ભારતીય ક્રિકેટ બોર્ડને બદનામ કરી રહ્યા છે ત્યારે ભૂતપૂર્વ કૅપ્ટન જ્યૉફ્રી બૉયકૉટે તેમની ટીમ મૅનેજમેન્ટને આડે હાથે લીધા હતા અને પૂછ્યું હતું કે ટર્નિંગ ટ્રૅક પર ત્રણ-ત્રણ પેસ બોલર્સ સાથે મેદાનમાં ઊતરવાનો આઇડિયા કયા મૂરખે તમને આપ્યો હતો.
બૉયકૉટે કહ્યું કે ‘હું જાણવા માગું છું કે ટર્ન લેતી પિચ પર ત્રણ ફાસ્ટ બોલર સાથે ઊતરવાનો આ મૂખાઈભર્યો નિર્ણય કોનો હતો? તમને એ બદલ શરમ આવવી જોઈએ. ઇંગ્લૅન્ડની ટીમે વિચારવું જોઈતું હતું કે તેઓ પિન્ક બૉલ ટેસ્ટ રમવા અમદાવાદ ઊતરવાના છો, ઍડીલેડમાં નહીં.’
આ પહેલાં તેમણે ટ્વિટર પર એક ચાહકના પ્રશ્નનો જવાબ આપીને ટીમ ઇન્ડિયાની પ્રશંસા કરી હતી અને પિચ વિશે જણાવ્યું હતું કે કોઈ પણ નિયમમાં એવો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે કઈ ટીમ કઈ રીતે પિચ બનાવશે.