પોતાના પ્લેયર્સને સુરક્ષિત રાખવાનો દરેક બોર્ડને અધિકાર

09 January, 2021 10:22 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

પોતાના પ્લેયર્સને સુરક્ષિત રાખવાનો દરેક બોર્ડને અધિકાર

સુનીલ ગાવસકર

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર સુનીલ ગાવસકરે ચોથી ટેસ્ટ મૅચ માટેના બ્રિસ્બેનમાંના કપરા ક્વૉરન્ટીન નિયમમાંથી ટીમ ઇન્ડિયાને છૂટ આપવા વિશે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાને ચોખવટ આપતાં કહ્યું છે કે જે પ્રમાણે ક્વીન્સલૅન્ડ સરકાર પોતાના લોકોને સુરક્ષિત રાખવા માગે છે એ પ્રમાણે ભારતીય ક્રિકેટ બોર્ડ પણ પોતાના પ્લેયર્સને સુરક્ષિત રાખવા માગે છે અને એ તેમનો અધિકાર છે. ઉલ્લેખનીય છે કે બ્રિસ્બેનના કપરા ક્વૉરન્ટીનમાંથી ટીમ ઇન્ડિયાને રાહત આપવા ભારતીય ક્રિકેટ બોર્ડે ઑસ્ટ્રેલિયાને પત્ર લખ્યો છે. જોકે બ્રિસ્બેનમાં ત્રણ દિવસના લૉકડાઉનને લીધે ૧૫ જાન્યુઆરીથી શરૂ થનારી ચોથી અને અંતિમ ટેસ્ટ મૅચના આયોજન પર પ્રશ્ન ઊભો થયો છે. ક્રિકેટ બાર્ડની વિનંતી બાદ કપરા ક્વૉરન્ટીનમાંથી થોડી છૂટછાટ આપવાની વિનંતી બાદ ક્વીન્સલૅન્ડ સરકારે વળતો જવાબ આપ્યો હતો કે ભારતીય ટીમે નિયમોનું પાલન કરવું જ પડશે. જો બ્રિસ્બેનમાં ટેસ્ટ રમાશે તો ભારતીય ખેલાડીઓને ફક્ત ટ્રેઇનિંગ અને રમવાની જ પરમિશન મળશે, બાકીના સમયે હોટેલની પોતપોતાની રૂમમાં જ રહેવું પડશે.

ચૅનલ 7 પર કૉમેન્ટરી કરતી વખતે સુનીલ ગાવસકરે કહ્યું કે ‘ક્વીન્સલૅન્ડ સરકાર પોતાના લોકોને સુરક્ષિત રાખવા સંપૂર્ણ રીતે અધિકૃત છે અને એ જ રીતે મારું માનવું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ પોતાના પ્લેયર્સને અને આખી ટીમને સુરકક્ષિત રાખવા સંપૂર્ણપણે અધિકૃત છે અને મારા ખ્યાલથી આપણે આ વાતને ક્યારેય ભૂલવી ન જોઈએ. સિડનીમાં લોકો મેદાનમાં આવે છે અને પછી પાછા જઈને રેસ્ટોરાંમાં ડિનર કરે છે અથવા તો પબમાં ૨૦-૩૦ લોકો ભેગા થઈ રહ્યા છે. જો ભારતીય ખેલાડી મેદાન પર ૧૦ કલાક સાથે સમય પસાર કરે તો તેમને કમસે કમ હોટેલમાં એકબીજા સાથે મળવાની અનુમતિ મળવી જ જોઈએ અને એ માટે ક્રિકેટ બોર્ડે કરેલી માગણી કાંઈ ખોટી નથી. તેઓ માત્ર એટલું જ કહી રહ્યા છે કે પ્લેયર્સને એકમેક સાથે મળવાની અનુમતિ આપવી જોઈએ. તમારી સામે એવી પણ પરિસ્થિતિ આવી શકે છે જ્યાં બૅટ્સમૅને ફટકારેલી સિક્સરથી બૉલ ક્રાઉડમાં જતો રહે અને કોઈ દર્શક એ બૉલને ટચ કરી લે.’

sports sports news cricket news india australia sunil gavaskar