03 June, 2021 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડેવિડ વૉર્નર
ઑસ્ટ્રેલિયાના ખેલાડી ડેવિડ વૉર્નરના જણાવ્યા પ્રમાણે આઇપીએલ રમવા માટે ભારત આવનારા વિદેશી ખેલાડીઓ લોકોને ઑક્સિજન માટે ફાંફાં મારતાં અને પોતાનાં સગાંવહાલાઓના અંતિમ સંસ્કાર માટે રસ્તાઓ પર લાંબી લાઇનમાં ઊભેલા જોઈને ડરી ગયા હતા. આઇપીએલમાં હૈદરાબાદની ટીમ તરફથી રમનારા વૉર્નરે કહ્યું હતું કે અહીં પોતાના ઘરમાં બેસીને ટીવી પર ભારતમાં સર્જાયેલાં આવાં દૃશ્યો જોઈને લોકો ડરી જાય એ સ્વાભાવિક હતું. ચાર ખેલાડીઓ કોરોના સંક્રમિત થતાં ચોથી મેથી આઇપીએલને મોકૂફ રાખવામાં આવી હતી. ૬૦ મૅચ પૈકીની બાકીની ૩૧ મૅચો હવે સપ્ટેમ્બર-ઑક્ટોબર દરમ્યાન યુએઈમાં રમાશે.
વૉર્નરે કહ્યું હતું કે ભારતમાં દૃશ્યો બિહામણાં હતાં. મેદાનો ખાલી હતાં. માનવતાની દૃષ્ટિએ પણ આ બધુ હચમચાવી મૂકે એવું હતું. વધતા જતા કોરોનાના કેસની સંખ્યા છતાં ભારતીય ક્રિકેટ બોર્ડ ટુર્નામેન્ટ યોજવા માટે મક્કમ હતું. જોકે બાયો-બબલમાં પણ કેસ થતાં ક્રિકેટ બોર્ડને ટુર્નામેન્ટ રદ કરવાની ફરજ પડી હતી. વૉર્નરે કહ્યું હતું કે આઇપીએલને રદ કરવાનો નિર્ણય યોગ્ય હતો. બબલમાં હતા ત્યાં સુધી સેફ હતા, પરંતુ જ્યારે અમે એક સ્થાનેથી બીજા સ્થાને જવા વિમાનમાં બેસતા અને ઊતરતા ત્યારે સ્થિતિ પડકારજનક હતી. ક્રિકેટ બોર્ડ આઇપીએલ યથાવત્ રાખવા માગતું હતું, કારણ કે આપણે જાણીએ છીએ કે ભારતના લોકોને ક્રિકેટ ખૂબ ગમે છે. અડધી કરતાં વધુ વસ્તી આ રમતને જોઈને આનંદ અનુભવે છે.’
તાજતરમાં હૈદરાબાદે વૉર્નરને કૅપ્ટન પદેથી હટાવીને તેના સ્થાને કેન વિલિયમસનને કૅપ્ટન બનાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘પરિસ્થિતિ કાબૂ બહાર જતાં અમે ભારતની બહાર કેમ જવું એનો વિચાર કરતા હતા. અમે બધા અન્ય લોકો સાથે પહેલાં માલદીવ્ઝમાં હતા. ત્યાં ભેગા થયેલા બધા જ ભારતની બહાર જવા માગતા હતા.’