31 December, 2021 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિ શાસ્ત્રી
ભારતીય ટીમના ભૂતપૂર્વ હેડ-કોચ અને ટેસ્ટ-કૅપ્ટન વિરાટ કોહલીના નજીકના મિત્ર રવિ શાસ્ત્રીનું માનવું છે કે નૅશનલ ટીમ સિલેક્શનમાં કોચ અને કૅપ્ટનનાં મંતવ્ય પણ લેવાં જોઈએ. હાલમાં નૅશનલ ટીમ નક્કી કરતી સિલેક્શન કમિટીની મીટિંગમાં ભારતીય કૅપ્ટનને બોલાવવામાં આવે છે, પરંતુ તેણે તો સિલેક્ટરો માગે એટલી વિગતો જ આપવાની હોય છે. દરેક નિર્ણય સિલેક્ટરો અને ચીફ સિલેક્ટર જ લે છે. કોચને આ બેઠકમાં નથી બોલાવવામાં આવતા. પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ શાસ્ત્રીએ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું કે ‘આપણે ભારતીય ક્રિકેટને આગળ વધારવામાં એક વાત યાદ રાખવી જોઈએ કે ટીમ સિલેક્શન મીટિંગમાં (નિર્ણયો લેવામાં) કોચ અને કૅપ્ટનનાં મંતવ્યો સત્તાવાર રીતે લેવાં જ જોઈએ. કોચ અનુભવી હોય (જેમ કે હું અને હવે રાહુલ દ્રવિડ) તો તેમને મીટિંગમાં બોલવાની સત્તા હોવી જોઈએ. આવી છૂટ ફોન પર કે બીજી કોઈ રીતે ન હોવી જોઈએ. મીટિંગમાં હાજર રહેવાની
કોચ-કૅપ્ટનને છૂટ હોવી જોઈએ જેથી તેઓ સિલેક્ટરોની માનસિકતાનો અભ્યાસ કરી શકે.’