13 September, 2021 08:08 AM IST | Mumbai | Agency
પાંચમી ટેસ્ટને રદ ગણવી કે મુલતવી?
થોડાં વર્ષો પહેલાં દેશવાસીઓને એક સવાલ મૂંઝવતો હતો કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? આવી જ કંઈક હાલત ૨૦૨૧માં ભારતીય ક્રિકેટ ફૅન્સની થઈ છે કે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાનારી પાંચમી ટેસ્ટનું શું થયું? એવો જવાબ ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ આ ટેસ્ટને લઈને ચાલી રહેલી ગરબડ વિશે સવાલ પુછાતાં આપ્યો હતો. આ ટેસ્ટને રદ ગણવી, ઇંગ્લૅન્ડને વિજેતા જાહેર કરવી અથવા તો મુલતવી રાખવી એ વિશે મતભેદ છે. ભારત અને ઇંગ્લૅન્ડના બોર્ડે આ ટેસ્ટ મૅચને આવતા વર્ષે રીશિડ્યુલ કરાવવાની ઘોષણા કરી હતી, પરંતુ આ ટેસ્ટને શું ગણવી અને સિરીઝના નિર્ણયને લઈને બન્ને બોર્ડ વચ્ચે મતભેદો યથાવત્ છે એથી આ મામલે ઈસીબીએ આઇસીસીને સ્પષ્ટતા કરવાનું કહ્યું છે.
ઈસીબીએ નક્કી કર્યું છે કે એ ટેસ્ટને અલગ ટેસ્ટ તરીકે ગણવામા આવે. જો પાંચમી ટેસ્ટને જપ્ત ટેસ્ટ તરીકે ગણવામાં આવે તો ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની સિરીઝ બરોબરી પર કહેવાશે, જેનો ભારત વિરોધ કરી રહ્યું છે, કારણ કે પાંચ મૅચની સિરીઝમાં ભારત ૨-૧થી આગળ હતું અને ૧ ટેસ્ટ ડ્રૉ થઈ હતી. જપ્ત જાહેર કરે તો ઇંગ્લન્ડ બોર્ડને ૪૦ મિલ્યન પાઉન્ડના અંદાજે ૪૦૬ કરોડ રૂપિયાના ઇન્શ્યૉરન્સ માટે દાવો કરી શકે. ભારત ઇંગ્લૅન્ડને વૉકઓવર આપવા તૈયાર નથી. ઈસીબીએ આઇસીસી સમક્ષ આ મામલે સ્પષ્ટતા કરવાનું કહ્યું છે પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે હજી સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.