03 September, 2025 12:45 PM IST | Canberra | Gujarati Mid-day Correspondent
પૅટ કમિન્સ
ઑસ્ટ્રેલિયાના ટેસ્ટ-કૅપ્ટન પૅટ કમિન્સે આગામી ઍશિઝ ટેસ્ટ-સિરીઝને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. જુલાઈ ૨૦૨૫માં વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝમાં ૬૦ ઓવર ફેંક્યા પછી તેને કમરમાં દુખાવો શરૂ થયો હતો. હજી પણ અનફિટ હોવાથી તેણે વધુ આરામ અને રીહૅબ પર ફોકસ કરવાનો નિર્ણય લીધો છે.
નવેમ્બર-ડિસેમ્બરમાં ઇંગ્લૅન્ડ સામે ઘરઆંગણે રમાનારી ઍશિઝ ટેસ્ટ-સિરીઝ માટે ફિટ રહેવા તે ન્યુ ઝીલૅન્ડ અને ભારત સામેની વાઇટ-બૉલ સિરીઝમાંથી દૂર રહેશે. કાંગારૂ ટીમ ઍશિઝ પહેલાં એકથી ચાર ઑક્ટોબર દરમ્યાન ન્યુ ઝીલૅન્ડમાં ત્રણ મૅચની T20 સિરીઝ રમશે, જ્યારે ભારત સામે તેઓ ઘરઆંગણે ત્રણ વન-ડે (૧૯થી ૨૫ ઑક્ટોબર) અને પાંચ T20 (૨૯થી ૮ નવેમ્બર) રમશે.