11 September, 2025 02:25 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૪ સપ્ટેમ્બરે યુએઈમાં મેચ રમાશે
એશિયા કપ ૨૦૨૫ (Asia Cup 2025)ના ના સમયપત્રકની જાહેરાત થઈ ત્યારથી ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ રાજકીય વાતાવરણને ધ્યાનમાં રાખીને, ટીમોએ એકબીજા સામે રમવું જોઈએ કે નહીં તે અંગે સતત ચર્ચા ચાલી રહી છે. પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) અને ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પછી આ ચર્ચાએ વધુ વેગ પકડ્યો, જેના કારણે રાષ્ટ્રીય સુરક્ષા અંગે લોકોની લાગણીઓ અને ચિંતાઓ વધુ ઘેરી થઈ. એશિયા કપ ૨૦૨૫ ટુર્નામેન્ટમાં બહુપ્રતિક્ષિત ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલા (India vs Pakistan in Asia Cup 2025) માટે થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં એક જાહેર હિત અરજી (Public Interest Litigation) દાખલ કરવામાં આવી હતી, જેમાં મેચ રદ કરવાની વિનંતી કરવામાં આવી હતી. અરજદારોએ દલીલ કરી હતી કે સ્પર્ધાને મંજૂરી આપવાથી રાષ્ટ્રીય લાગણીઓને ઠેસ પહોંચશે. જોકે, ન્યાયાધીશ જેકે મહેશ્વરી (JK Maheshwari) અને વિજય બિશ્નોઈ (Vijay Bishnoi)ની બેન્ચે આ બાબતને તાત્કાલિક સૂચિબદ્ધ કરવાનો ઇનકાર કર્યો હતો, અને ટિપ્પણી કરી હતી કે, ‘અંતે આ ફક્ત એક મેચ છે.’
એશિયા કપ ૨૦૨૫ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની T20 મેચ રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં ૧૪ સપ્ટેમ્બરે દુબઈ (Dubai)માં યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 એશિયા કપ મેચ રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજી ઉર્વશી જૈનના નેતૃત્વમાં લૉના ચાર વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે. એડવોકેટ્સ સ્નેહા રાની, અભિષેક વર્મા અને મોહમ્મદ અનસ ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવેલી PILમાં દલીલ કરવામાં આવી છે કે, પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી તરત જ મેચનું આયોજન કરવાથી રાષ્ટ્રીય ગૌરવને નુકસાન થાય છે અને ભારતીય સૈનિકો અને નાગરિકોના બલિદાનનું અપમાન થાય છે.
જોકે, સુપ્રીમ કોર્ટે ૧૪ સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી એશિયા કપ મેચ રદ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. અરજદારો વતી વકીલે રવિવારે ક્રિકેટ મેચનો ઉલ્લેખ કરીને અરજી પર આવતીકાલે સુનાવણીની માંગ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ક્રિકેટને રાષ્ટ્રીય હિત, નાગરિકોના જીવન કે ભારતીય સૈનિકોના બલિદાનથી ઉપર રાખી શકાય નહીં. અરજીમાં સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરવામાં આવી છે. અરજદારોએ ભવિષ્યમાં આવા નિર્ણયો લેવા માટે રાષ્ટ્રીય રમત પ્રશાસન અધિનિયમ, 2025 ને ટૂંક સમયમાં લાગુ કરવાના નિર્દેશો પણ માંગ્યા છે. જોકે, જસ્ટિસ મહેશ્વરીની આગેવાની હેઠળની બેન્ચે આ માંગણીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, ‘આમાં શું તાકીદ છે. જો મેચ થઈ રહી છે તો તેને થવા દો. આમાં આપણે શું કરી શકીએ છીએ.’
નોંધનીય છે કે, ભારતે એશિયા કપમાં જોરદાર એન્ટ્રી કરી છે. ટીમ ઈન્ડિયાએ પહેલી જ મેચમાં યુએઈ (UAE) ટીમને હરાવી દીધી હતી. બુધવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ (Dubai International Stadium)માં ભારતે સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates)ની ટીમને ૯ વિકેટથી હરાવી હતી. UAE માત્ર ૧૩.૧ ઓવરમાં ૫૭ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પછી, ભારતે ૪.૩ ઓવરમાં મેચ પોતાના નામે કરી લીધી હતી.