03 July, 2019 01:16 PM IST |
અંબાતી રાયડૂએ ટીમ ઈન્ડિયામાંથી આપ્યું રાજીનામું
ભારતીય ટીમનાં સ્ટાર પ્લેયર અંબાતી રાયડૂએ ટીમ ઈન્ડિયામાંથી રાજીનામું આપ્યું છે. વર્લ્ડ કપમાં ચોથા સ્થાન પર રમવા માટે પ્રબળ દાવેદારી ધરાવતા અંબાતી રાયડૂને વર્લ્ડ કપમાં સ્થાન મળ્યું નથી. વર્લ્ડ કપ 2019ના સિલેક્શન સમયે અંબાતી રાયડૂને વર્લ્ડ કપ ટીમ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવ્યો હતો જો કે, અંબાતી રાયડૂની જગ્યાએ ટીમમાં વિજય શંકરને સ્થાન આપવામાં આવ્યું હતું અને અંબાતી રાયડૂને રિઝર્વ પ્લેયર રાખવામાં આવ્યો હતો.
વર્લ્ડ કપની ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શિખર ધવન ઈજાગ્રસ્ત થતા રિષભ પંતને નાટકિય રીતે તરત જ ઈંગ્લેન્ડ બોલાવી દેવામાં આવ્યો હતો. અંબાતી રાયડૂએ નંબર 4 પર રમતા ઘણીવાર પોતાની ક્ષમતાને પૂરવાર કરી છે તેમ છતા ટીમમાં જગ્યા ન મળતા અંબાતી રાયડૂ નિરાશ જોવા મળ્યો હતો. પ્રેક્ટિસ સેશનમાં ઈજાગ્રસ્ત થયા પછી વિજય શંકર પણ ટીમથી બહાર થયો હતો ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે, વિજય શંકરની જગ્યાએ અંબાતી રાયડૂને ટીમમાં સ્થાન મળશે. જો કે ભારતીય ભારતીય ટીમમાં એક પણ મેચ રમનાર મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે જેની સામે ઘણા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
ટીમમાંથી સતત અવગણના મળતા અંબાતી રાયડૂએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રાજીનામું આપ્યું હોય તેવુ માનવામાં આવી રહ્યું છે. અંબાતી ભારતીય ટીમ માટે 55 વન-ડે રમ્યો છે જેમાં 47ની એવરેજથી 1694 રન બનાવ્યા છે. અંબાતી રાયડૂએ ઘણીવાર ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી છે જેના કારણે નંબર 4 માટે તેમને પરફેક્ટ માનવામાં આવે છે.
આ પણ વાંચો: World Cup: મેચ ભારત જીત્યું અને આ ગુજરાતી બાએ જીતી લીધા દિલ
ટીમ ઈન્ડિયાના સિલેક્શન સમયે અંબાતી રાયડૂએ ટ્વીટ કર્યું જેમા લખ્યું હતુ કે, વર્લ્ડ કપની મેચ જોવા માટે નવા 3D ચશ્મા ઓર્ડર કર્યા છે. આ ટ્વીટને લઈને ભારે હોબાળો જોવા મળ્યો હતો. આ સિવાય અંબાતી રાયડૂના સમર્થનમાં ટીમ સિલેક્શન સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.અંબાતી રાયડૂની જાહેરાત પહેલા આઈસલેન્ડ ક્રિકેટ તરફથી તેમને ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા માટે ઓફર આપવામાં આવી હતી. આ સિવાય તેમને આઈસલેન્ડની સિટિઝનશીપ પણ ઓફર કરવામાં આવી હતી જો કે આ બાબતે હાલ અંબાતીએ કોઈ જવાબ આપ્યો નથી.