19 March, 2026 12:17 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
સાંજના સમયે વાંદરા આવવાનો સમય હોય ત્યારે ખાસ રીંછ બનીને તેઓ ખેતરનો પહેરો ભરે છે.
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના ફિરોજપુર ગામમાં ખેડૂતો હવે વાંદરાઓના આતંકથી પરેશાન થઈ ગયા છે. વાંદરાઓ ઊભા પાકમાં તોફાન મચાવી જાય છે અને આખો પાક બગાડી જાય છે. તેઓ ખેતરની પાસે આવેલાં ઘરોમાં ઘૂસીને ખાવા-પીવાનો સામાન ઉઠાવીને લઈ જાય છે. એમને હવે લાકડી લઈને ઘૂમતા માણસોનો પણ ડર નથી લાગતો. વનવિભાગને અનેક વાર ફરિયાદ કર્યા પછી પણ કોઈ સ્થાયી સમાધાન ન મળતાં ખેડૂતોએ હવે વાંદરાઓને ડરાવવા માટે રીંછનો સહારો લીધો છે. જંગલી પ્રાણી રીંછથી વાંદરા ડરે છે એટલે ખેડૂતોએ ખેતરની રખેવાળી કરવા માટે રીંછનો કૉસ્ચ્યુમ વસાવી લીધો છે. તેઓ વાંદરા નીકળે એટલે તરત રીંછનાં કપડાં પહેરીને નીકળી પડે છે. સાંજના સમયે વાંદરા આવવાનો સમય હોય ત્યારે ખાસ રીંછ બનીને તેઓ ખેતરનો પહેરો ભરે છે. એને કારણે વાંદરા ડરીને થોડા સમય માટે ત્યાંથી ગાયબ થઈ જાય છે. જોકે આ પણ કોઈ કાયમી સૉલ્યુશન નથી.