10 May, 2021 01:37 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સંતોષ ગંગવાર
બરેલી જિલ્લાના અધિકારીઓ કોરોના સામેના પ્રતિસાદમાં બહેતર વ્યવસ્થાનું ગાણું ગાઈ રહ્યા છે, પણ કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પાઠવેલા પત્રમાં હકીકત છતી કરી દીધી છે.
તેમણે સ્પષ્ટ લખ્યું છે કે આરોગ્ય વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ ફોન સુધ્ધાં નથી ઉઠાવતા અને રેફરલના નામે દરદીઓ એકથી બીજી હૉસ્પિટલમાં ભટકતા રહે છે. સાથે જ તેમણે જણાવ્યું કે હૉસ્પિટલમાં વપરાતાં મલ્ટિ પેરા મોનિટર, બાયોપેક મશીન, વેન્ટિલેટર સહિતનાં આવશ્યક ઉપકરણો કાળા બજારમાં દોઢગણી કિંમતે વેચાઈ રહ્યાં છે. તેમણે આ સાધનોની કિંમત નક્કી કરવાની માગણી કરી હતી.
આરોગ્ય વિભાગના અધિકારીઓની ફરિયાદ કરતાં તેમણે પત્રમાં લખ્યું છે કે તે લોકો ફોન નથી ઉઠાવતા, જેના કારણે દરદીઓએ અસુવિધાનો સામનો કરવો પડે છે. આ બહુ ગંભીર બાબત કહેવાય ઘરમાં વિનાકારણે ઑક્સિજન સિલિન્ડર છુપાવીને બેઠેલા અને કાળાબજાર કરનારા લોકો સામે કાર્યવાહીની પણ તેમણે માગણી કરી છે.