01 June, 2025 06:44 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વાલ્મીક થાપર (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
વિખ્યાત વન્યજીવન સંરક્ષણકાર અને ભારતના ‘ટાઇગર મૅન’ તરીકે જાણીતા વાલ્મીક થાપરનું 31 મે 2025ના રોજ વહેલી સવારના સમયે અવસાન થયું. તેઓ 73 વર્ષના હતા અને છેલ્લાં કેટલાંક સમયથી કેન્સર સામે હિંમતભરી લડત આપી રહ્યા હતા. તેમનું અવસાન દિલ્હીની કૌટિલ્ય માર્ગ સ્થિત નિવાસસ્થાને થયું હતું. તેમનો અંતિમ સંસ્કાર આજના દિવસે બપોરે 3:30 વાગ્યે લોધી ઇલેક્ટ્રિક ક્રેમેટોરિયમ ખાતે કરવામાં આવશે.
વાલ્મીક થાપર વિશ્વભરના શ્રેષ્ઠ વન્યજીવન સંરક્ષણકારોમાં સ્થાન ધરાવતાં હતા અને વાઘોના સંરક્ષણ માટે તેમને ખૂબ કાર્યો કર્યા છે. છેલ્લા પાંચ દાયકાથી તેમણે પર્યાવરણ સંરક્ષણના અવિરત પ્રયાસો કર્યા હતા. તેમની જીવનયાત્રા જોશ, ઉર્જા અને અભૂતપૂર્વ સમર્પણથી ભરેલી રહી છે.
તેમણે લગભગ 50 પુસ્તકો લખ્યા હતા અને અનેક ટેલિવિઝન ડોક્યુમૅન્ટરીઝ રજૂ કરી હતી. દેશ-વિદેશમાં સંરક્ષણ અંગે વિવિધ મંચો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા અને આ વિચારધારાને આગળ ધપાવતા રહ્યા. તેમની શબ્દશક્તિ, દૃષ્ટિકોણ અને કાર્યશૈલીથી લાખો લોકો પ્રેરિત થયા છે.
1980ના દાયકાના અંતમાં વાલ્મીક થાપર ભારતના એવા પહેલા સંરક્ષણ અગ્રણીઓમાંથી હતા જેમણે સમુદાય આધારિત સંરક્ષણના વિચારોને પ્રાથમિકતા આપી. તેમણે રણથંભોર ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. રણથંભોર ફાઉન્ડેશન એનજીઓએ રણથંભોર વાઘ અભયારણ્યની આસપાસના લગભગ 100 જેટલાં ગામોમાં કાર્ય કર્યું હતું. આ કાર્યમાં પ્રાથમિક આરોગ્યસેવા, ચરાઈ અટકાવવા માટે દૂધ ઉત્પાદન પ્રોત્સાહન, અને બેરણ કે ઉજાડ જમીનોને પુનઃવનિકરણ દ્વારા જીવંત બનાવવાના પ્રયાસોનો સમાવેશ થાય છે. તે સમયની દૃષ્ટિએ તેમનો અભિગમ ઘણો આગવો અને આગલા દાયકાની જરૂરિયાતોને અનુરૂપ ગણાય છે.
તેમજ તેમણે રણથંભોર સ્કૂલ ઑફ આર્ટની કલ્પના કરી હતી અને `દસ્તકાર` નામના મહિલા સહકારી ઉપક્રમને સમર્થન આપ્યું હતું, જેના દ્વારા પરંપરાગત હસ્તકળાઓને જીવંત રાખવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા શરૂ કરેલ અનેક સંરક્ષણ પ્રૉજેક્ટ્સને તેમણે આગળ બીજા સંગઠનોને સોંપી દીધા હતા, જે આજે પણ તેમનાં માર્ગદર્શન હેઠળ કાર્યરત છે.
ગરમી હોય કે ઠંડી, વરસાદ હોય કે કઠોર આબોહવા, તેઓ સતત ગામના વડીલો અને અભયારણ્યના અધિકારીઓ સાથે બેઠકો યોજીને મુશ્કેલ મુદ્દાઓના ઉકેલ શોધતા. ફક્ત ભારતમાં જ નહીં, પણ આફ્રિકામાં પણ તેમણે વન્યપ્રાણી અવલોકન કર્યું હતું. તેમ છતાં, તેમનું હૃદય અને આત્મા તો રણથંભોરના વાઘોમાં સમાઈ ગયું હતું, જ્યાંથી તેમની આજીવન અભિરુચિનો આરંભ થયો હતો.
તેમણે ભારતની અનેક મહત્વની સરકારી કમિટીઝમાં સેવા આપી હતી, જેમ કે નેશનલ બૉર્ડ ફૉર વાઇલ્ડલાઇફ, સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમપાવર્ડ કમિટી ફૉર ફૉરેસ્ટ્સ અને અન્ય અનેક બૉર્ડ્સ અને કમિટીઝ. તેમનું કાર્ય દેશના દરેક ખૂણામાં પહોંચેલું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારો સાથે તેમણે ઘણી રાજકીય પાર્ટીઓ સાથે નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું હતું. વન્યજીવન બચાવવાનું કાર્ય તેમના માટે રાજકારણથી પર હતું. તેમણે કોણ સત્તામાં છે તેનાથી કંઈ ફરક પડતો ન હતો. વડા પ્રધાન કે મુખ્ય મંત્રી હોય કે દૂરના વિસ્તારના ફૉરેસ્ટ ગાર્ડ, વાલ્મીક થાપર દરેકને સમાન સન્માન અને ગંભીરતા સાથે સંબોધતા. વાઈલ્ડલાઈફ માટેની તેમની લાગણી સૌને સ્પષ્ટ જણાતી હતી. તેમનો એ ગૂંજતો અવાજ આજે શાંત થયો છે, પરંતુ તેઓ જેમને પ્રેરણા આપી ગયા છે તે તેમની સંરક્ષણ માટેની લડતને આગળ વધારશે.
તેમનો જન્મ એક વિદ્વાન અને ખ્યાતનામ પરિવારમાં થયો હતો. પિતા રમેશ થાપર જાણીતા પત્રકાર હતા, જ્યારે તેમની ફૂઈ રમિલા થાપર દેશના પ્રસિદ્ધ ઇતિહાસકાર છે. તેમના ભત્રીજા કરણ થાપર પણ જાણીતા પત્રકાર છે. વાલ્મીક થાપરનો વિવાહ રંગભૂમિ કલાકાર સંજના કપૂર સાથે થયો હતો, જે અભિનેતા શશી કપૂરની પુત્રી છે. વાલ્મીક થાપર અને સાંજના કપૂરને એક પુત્ર છે.