18 June, 2021 06:52 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરઃ સૌજન્ય AFP
લૉકડાઉન પ્રતિબંધ હટાવ્યા બાદ દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના બજારોમાં નિયમોના ભંગ બદલ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે કોવિડ -19 ની માર્ગદર્શિકાના આવા ઉલ્લંઘનથી કોરોનાની ત્રીજી લહેર જલદી આવી શકે છે.
દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના બજારોમાં ભીડ અને કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરતા લોકોની જાતે નોંધ લીધી છે. હાઇકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી છે અને સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. કોર્ટે કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે કોવિડ પ્રોટોકોલનું કડક પાલન કરવું જરૂરી છે.
એપ્રિલના છેલ્લા સપ્તાહમાં અને મે ની શરૂઆતમાં કોરોનાની બીજી લહેરના જોખમને જોયા પછી હવે દિલ્હીમાં રોજિંદા કોરોના કેસ 200 પર આવી ગયા છે. પોઝિટિવ રેટ 0.2 ની આસપાસ રહ્યો છે. આવી સ્થિતિમાં, લોકડાઉન પ્રતિબંધોમાં છેલ્લા બે અઠવાડિયામાં રાહત આપવામાં આવી છે, તેથી બજારોમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ રહી છે. સોશ્યલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન અને માસ્ક ન પહેરવા જેવા ઉલ્લંઘન ઘણી જગ્યાએ જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે સોમવારથી દિલ્હીમાં દુકાનો, મોલ અને રેસ્ટોરન્ટ વગેરે ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે. મેટ્રો પણ અડધી ક્ષમતાથી ચાલે છે. સાપ્તાહિક બજારો પણ અડધી ક્ષમતા પર ખુલ્યા છે અને મ્યુનિસિપલ ઝોનમાં એક દિવસમાં માત્ર એક જ બજાર ખુલશે, આ નિયમ છે.