16 October, 2020 04:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરાઈ હતી જેમાં અરજીકર્તાએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની માગ કરી હતી. આ અરજીને સુપ્રિમ કોર્ટે સાંભળવાથી ઈનકાર કરવાની સાથે ચીફ જસ્ટિસે આ મામલે કહ્યું કે જો એવી કોઈ માગ કરવી હોય તો રાષ્ટ્રપતિ પાસે જાઓ.
એડવોકેટ રિષભ જૈન અને ગૌતમ શર્મા તેમ જ સામાજિક કાર્યકર્તા વિક્રમ ગહલોતની આ અરજીમાં ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નું મોત, કંગના રનોટ (Kangana Ranaut)ની ઓફિસમાં તોડફોડ અને શિવ સૈનિકો દ્વારા ભૂતપૂર્વ નૌસેના અધિકારી પર કરવામાં આવેલા હુમલાને ટાંકવામાં આવ્યા છે. અરજદારે કહ્યું કે મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારની નીતિઓ નિષ્ફળ ગઈ છે. તેમ જ શાસક પક્ષો આરોપીઓને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે.
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબેડેએ કહ્યું કે અભિનેતાના મોતનો અર્થ એ નથી કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે, તમે જે દાખલા આપ્યા છે તે બધા મુંબઈના છે.
અગાઉ પણ રાજકીય પક્ષો અને કંગના રનોટ સુશાંત કેસમાં ઉદ્ધવ સરકાર પર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, બાદમાં સુશાંતના પરિવારની અરજી પર સુપ્રીમ કોર્ટે સુશાંતના કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. આ સિવાય કંગના રનૌતની ઓફિસને તોડી નાખવાના મામલે બોમ્બે હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે.