સુબ્રમણ્યમ સ્વામીની આગાહી એક વર્ષમાં પીઓકે ભારતનો હિસ્સો હશે

16 September, 2019 07:28 AM IST  | 

સુબ્રમણ્યમ સ્વામીની આગાહી એક વર્ષમાં પીઓકે ભારતનો હિસ્સો હશે

મોંફાટ નિવેદનો આપવા માટે જાણીતા બીજેપીના સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ હવે આગાહી કરી છે કે એક વર્ષમાં પીઓકે (પાક ઑક્યુપાઇડ કાશ્મીર) ભારતનો હિસ્સો હશે. અવધ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં બોલતાં ડૉ. સ્વામીએ કહ્યું હતું કે ૬૦૦ વર્ષના શાસનકાળ દરમ્યાન મોગલોએ આપણને દબાવીને રાખ્યા હતા. ભારતનું નિર્માણ કરવા માટે ઇતિહાસની સાચી જાણકારી હોવી જરૂરી છે. આઝાદ ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦-કલમ લાગુ પાડવા સામે ડૉ. આંબેડકરે પણ વિરોધ કર્યો હતો. આ કલમ દૂર કરવામાં કશું ખોટું નથી.

તેમણે કહ્યું હતું કે કાશ્મીર મુદ્દે આખી દુનિયા ભારત સાથે છે. પાકિસ્તાનને યુએનમાંથી પણ ખાલી હાથે પાછા ફરવું પડ્યું છે. એક વર્ષમાં પીઓકે પણ ભારતનો હિસ્સો હશે. બલુચિસ્તાન પણ મુક્ત થઈને ભારત સાથે ભળવા માગે છે. હવે ભારતના નકશાને સુધારવાનો સમય આવી ગયો છે.ડૉ. સ્વામીએ કહ્યું હતું કે પીએમ મોદી એક કુશળ શાસક છે અને તેમનાથી પાકિસ્તાન ડરેલ છે. જે રીતે સરકારે કલમ-૩૭૦ દૂર કરી છે એ બહુ જ પ્રશંસનીય બાબત છે.

આ પણ વાંચો: વતનમાં જન્મદિવસ ઉજવશે વડાપ્રધાન, આ છે કાર્યક્રમ

રામ મંદિર વિશે તેમણે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે આ કેસમાં કોર્ટનો ચુકાદો મંદિરની તરફેણમાં આવશે. સુન્ની વક્ફ બોર્ડ આસ્થાની વાત નથી કરી રહ્યું. તે આ કેસમાં દલીલ કરી રહ્યું છે કે આ જમીન અમારી છે. બીજી તરફ બોર્ડને છોડીને દેશના મુસ્લિમોની પણ ઇચ્છા છે કે આ જમીન હિન્દુઓને રામ મંદિર માટે આપી દેવાય.

subramanian swamy national news gujarati mid-day