03 June, 2025 07:40 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અયોધ્યામાં રામલલાના મંદિરના શિખર પર સોનાજડિત કળશ સ્થાપિત કરવામાં આવ્યો
ગઈ કાલે અયોધ્યામાં રામલલાના મંદિરના શિખર પર સોનાજડિત કળશ સ્થાપિત કરવામાં આવ્યો હતો. વૈદિક વિધિવિધાન અનુસાર ૪૦૦ મહિલાઓએ ગઈ કાલે સરયૂ કિનારેથી સરયૂ જળ લઈને કળશ યાત્રા કાઢી હતી અને રામમંદિર સંકુલના રામ દરબાર સહિતનાં કુલ આઠ દેવાલયોમાં પાંચમી જૂને એકસાથે યોજાનારી પ્રાણપ્રતિષ્ઠાનું અનુષ્ઠાન આજે સવારે ૬.૩૦ વાગ્યાથી શરૂ થશે.
શ્રી રામ જન્મભૂમિ મંદિરનાં નવનિર્મિત આઠ દેવાલયોમાં શિવલિંગ, શ્રી ગણેશ, મહાબલિ હનુમાન, સૂર્યદેવ, મા ભગવતી, મા અન્નપૂર્ણા, શેષાવતાર અને મુખ્ય મંદિરના પ્રથમ માળ પર શ્રી રામ દરબારમાં પ્રાણપ્રતિષ્ઠા થશે. રામ દરબારમાં રાજા રામ અને સીતા સિંહાસન પર બેઠેલી મુદ્રામાં છે અને એમાં સાથે હનુમાન, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની મૂર્તિઓ પણ છે.
પ્રાણપ્રતિષ્ઠાનો સમય : પાંચ જૂન, સવારે ૧૧.૨૫ અભિજિત મુહૂર્તમાં.