05 April, 2026 02:26 PM IST | Punjab | Gujarati Mid-day Online Correspondent
રાઘવ ચઢ્ઢા
આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)ને રાજ્યસભામાં ઉપનેતાપદેથી હટાવવામાં આવ્યા અને ત્યારબાદ ઘણા નેતાઓએ તેઓની સામે ગંભીર આરોપો મૂક્યા હતા. જોકે રાઘવ ચઢ્ઢાએ પણ એ બધાને ધુરંધરની સ્ટાઈલમાં જવાબ પણ આપ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને રાઘવ ચઢ્ઢા પર આરોપ લગાવી રહ્યા છે, તેઓ કહી રહ્યા છે કે રાઘવ ચઢ્ઢા સંસદમાં પંજાબના મુદ્દાઓ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે. આની સામે રાઘવ ચઢ્ઢાએ પણ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વિડીયો પોસ્ટ કરીને આ વાતને રદિયો આપ્યો છે. હવે રાઘવ ચઢ્ઢાએ એક્સ પર 3 મિનિટનો વીડિયો શેર કર્યો છે.
પોતાની પર થઈ રહેલા આક્ષેપોનો જવાબ આપતાં રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)એ વિડીયોના કેપ્શનમાં જણાવ્યું છે કે, `રાઘવ ચઢ્ઢા સંસદમાં પંજાબના મુદ્દાઓ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનો વીડિયો રિલીઝ કરવા મજબૂર થયેલા મારા AAPના સાથીદારો માટે આ વિડીયો. આ તો નાનું ટ્રેલર માત્ર છે... પિક્ચર તો હજી બાકી છે." રાઘવ ચઢ્ઢાએ એમ પણ લખ્યું છે કે, "પંજાબ મારી માટે માત્ર રાજકારણ અથવા ચર્ચાનો વિષય નથી. પરંતુ પંજાબ મારી ભૂમિ છે, મારું કર્તવ્ય છે, મારી માટી છે અને મારો આત્મા છે." આ સાથે જ તેઓએ સંસદમાં પંજાબના અધિકારનો અવાજ ઉઠાવતા પોતાના જૂના વીડિયોની ક્લિપ્સ પણ ઍટેચ કરી છે, જે એ વાતની સાબિતી પૂરે છે કે તેઓએ હંમેશા પંજાબના હિતોની વાત સંસદમાં મૂકી જ છે.
પંજાબ માટે રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)એ કયા કયા મુદ્દા ઉઠાવ્યા છે તે સાબિત કરતાં તેઓએ જણાવ્યું છે કે કરતારપુર સાહિબ અને નનકાના સાહિબનો કોરિડોર, પંજાબના ખેડૂતો માટે એમએસપીની માંગ, પંજાબમાં કેન્સર ટ્રેન અને દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વાયુ પ્રદૂષણ જેવા અનેક મુદ્દા તેઓએ ઉઠાવ્યા જ છે.
આ ઉપરાંત તેઓ (Raghav Chadha) વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે કે એમએસપીની કાનૂની ગેરંટીની માંગ, પંજાબમાં પાણીની અછત, ખેડૂતોની વિવિધ માંગણીઓ, પંજાબમાં ઘટી રહેલા ભૂગર્ભજળ, શહીદ ભગત સિંહ માટે ભારત રત્નની માંગ, નદીનું પુનરુત્થાન હોય કે પછી પંજાબમાં પાણીની પહોંચનો મુદ્દો હોય. મહારાજા રણજીત સિંહ માટે પણ શાહી સિંહાસનની માંગ તેઓ કરી ચૂક્યા છે. પંજાબમાં આંતરરાષ્ટ્રીય ઉડાનોની વાત હોય કે પછી પંજાબ માટે ફંડ જારી કરવાનો મુદ્દો હોય. આનંદપુર સાહિબને હેરિટેજ સિટી બનાવવાની માંગથી લઈને પંજાબના વિકાસ માટે કેન્દ્રની મદદ સુધીની વાત તેઓ સંસદમાં પેશ કરી ચૂક્યા છે.
આમ આદમી પાર્ટીના નેતાઓના વિપક્ષના વોકઆઉટમાં સામેલ ન થયા હોવાના આરોપોને પણ તેઓએ (Raghav Chadha) પડકાર્યો છે અને કહ્યું કે ગૃહની તમામ પ્રવૃત્તિઓ રેકોર્ડ કરાઇ છે. જોઈએ તો સીસીટીવી ફૂટેજ સામે લાવવામાં આવે. સત્ય સામે આવી જશે.