09 April, 2025 07:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
આજે સવારે દિલ્હીના વિજ્ઞાનભવનમાં આયોજિત વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે આયોજિત સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે.
આ સંદર્ભમાં એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે ‘મહાવીર જયંતીના શુભ અવસરના એક દિવસ પહેલાં ૯ એપ્રિલે સવારે આઠ વાગ્યે વિજ્ઞાનભવનમાં આયોજિત વિશ્વ નવકાર મહામંત્ર દિવસના એક અનોખા સમારોહમાં હું હાજરી આપીશ. આ કાર્યક્રમમાં ૧૦૦થી વધારે દેશોના લોકો ભાગ લેશે જેઓ શાંતિ, એકતા અને આધ્યાત્મિક જાગૃતિ માટેના વૈશ્વિક મંત્રના સાક્ષી બનશે.’
આ દિવસનો ઉદ્દેશ યુદ્ધ, હિંસા અને વિખવાદના ભયાનક પડછાયા વચ્ચે વિશ્વશાંતિને પ્રોત્સાહન આપવાનો છે. વડા પ્રધાન નવકાર મહામંત્રના સામૂહિક જાપમાં ભાગ લેશે અને સમારોહને સંબોધન પણ કરશે.
જૈન ઇન્ટરનૅશનલ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (JITO) દ્વારા આયોજિત આ કાર્યક્રમ ભારતમાં ૬૦૦૦ સ્થળે અને વિશ્વના ૧૦૮ દેશોમાં યોજાશે. આ આયોજનમાં આશરે એક કરોડ ૮ લાખ ભાવિકો જોડાય એવી શક્યતા છે.