14 January, 2025 03:53 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ધામધૂમથી મનાવી ભોગી પોંગલ
કેન્દ્રના કોલ ઍન્ડ માઇન્સ ખાતાના પ્રધાન જી. કિસન રેડ્ડીના દિલ્હીના નિવાસસ્થાને રાખવામાં આવેલા પોંગલ-સેલિબ્રેશનના કાર્યક્રમમાં ગઈ કાલે રાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. તેમણે દીપપ્રાગટ્ય કરીને તુલસીજીની પૂજા કરી હતી. ત્યાર બાદ ભોગી પ્રગટાવીને ગૌમાતાને ફળ ખવડાવ્યાં હતાં. ભોગીની આગ એ જૂની વસ્તુઓનો ત્યાગ કરીને નવી વસ્તુઓને અપનાવવાનું પ્રતીક છે. ભોગી એ ચાર દિવસના મકરસંક્રાન્તિ ઉત્સવનો પહેલો દિવસ હોય છે. ભોગીના દિવસે લોકો ઇન્દ્રદેવની ખાસ પૂજા કરતા હોય છે. એવી માન્યતા છે કે ભોગી પોંગલે ઇન્દ્રદેવની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણ અને કર્ણાટકમાં ભોગી ધૂમધામથી મનાવવામાં આવે છે. આ પ્રસંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલા, બૅડ્મિન્ટન પ્લેયર અને ઑલિમ્પિક મેડલિસ્ટ પી. વી. સિંધુ અને ઍક્ટર ચિરંજીવી પણ હાજર રહ્યાં હતાં.