22 April, 2026 02:56 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ
૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ જ્યારે જમ્મુ-કાશ્મીર (Jammu - Kashmir)ના પહલગામ (Pahalgam)માં આતંકવાદીઓ દ્વારા ૨૬ નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી (Pahalgam Terror Attack), ત્યારે આખો દેશ અંદરથી હચમચી ગયો હતો. આજે આ ભયાનક હુમલાની પ્રથમ વરસી (Pahalgam Terror Attack Anniversary) છે. પક્ષભેદ ભૂલીને તમામ રાજકીય નેતાઓ આ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi), ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સહિતના નેતાઓએ પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને આતંકવાદ સામે એકજૂથ થઈને લડવાના રાષ્ટ્રના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.
બરાબર એક વર્ષ પહેલા આજના દિવસે પાકિસ્તાન (Pakistan) સ્થિત લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના બંદૂકધારીઓએ જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ બુધવારે (૨૨ એપ્રિલ) પહલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર ૨૬ લોકોને યાદ કરીને સમગ્ર રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ (x) પર એક પોસ્ટમાં ઉલ્લેખ કર્યો કે, ‘ગયા વર્ષે આજના દિવસે પહલગામના ભયાનક આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોને યાદ કરું છું. તેમને ક્યારેય ભૂલી શકાશે નહીં. આ દુઃખદ સમયે મારી સંવેદનાઓ તે શોકગ્રસ્ત પરિવારો સાથે છે જેઓ આ નુકસાન સામે ઝઝૂમી રહ્યા છે. એક રાષ્ટ્ર તરીકે, અમે આ દુઃખ અને સંકલ્પમાં એકજૂથ છીએ. ભારત ક્યારેય આતંકવાદના કોઈ પણ સ્વરૂપ સામે ઝૂકશે નહીં. આતંકવાદીઓના નાપાક ઈરાદાઓ ક્યારેય સફળ થશે નહીં.’
ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ X પર લખ્યું, ‘ગયા વર્ષે પહલગામના ભયાનક આતંકવાદી હુમલામાં આપણે જે નિર્દોષ જીવ ગુમાવ્યા, તેમને આજે આપણે અત્યંત ગંભીરતાપૂર્વક યાદ કરીએ છીએ. આપણા લોકોને ગુમાવવાનું દુઃખ અને પીડા આજે પણ દરેક ભારતીયના હૃદયમાં છે. આતંકવાદ માનવતાનો સૌથી મોટો દુશ્મન છે, જેની સામે આપણે લડવા અને તેને હરાવવા માટે એકજૂથ થઈને ઉભા રહેવું જોઈએ. ભારત આતંકવાદ અને તેને આશ્રય આપનારાઓ સામે પોતાની `ઝીરો ટોલરન્સ` (જરા પણ ચલાવી ન લેવાની) નીતિ ચાલુ રાખશે.’
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ X પર લખ્યું, ‘ગયા વર્ષે પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા તમામ બહાદુર નાયકોને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભારત તેમના બલિદાન અને તેમના પરિવારોની પીડાને ક્યારેય ભૂલશે નહીં, અને આ અધમ કૃત્ય માટે જવાબદાર લોકોને ક્યારેય માફ પણ નહીં કરે. નિર્દયતાથી છીનવાઈ ગયેલા તે નિર્દોષ જીવોની યાદ આજે પણ આપણા હૃદયને હચમચાવી દે છે. શહીદોના પરિવારોનું દુઃખ એ આપણા સૌનું દુઃખ છે. રાષ્ટ્રના તે પુત્રોની શહાદત ભારતની આત્મામાં હંમેશા અંકિત રહેશે. આખો દેશ ત્યારે પણ આતંકવાદ અને હિંસા સામે એકજૂથ હતો, આજે પણ છે અને હંમેશા રહેશે. નફરત અને ડર ફેલાવતી શક્તિઓ સામે ભારત ક્યારેય ઝૂકશે નહીં—અમે વધુ તાકાત, એકતા અને સંકલ્પ સાથે તેમની સામે ઊભા રહીશું.’
આજે પણ પહલગામ આતંકવાદી હુમલાની યાદો દરેક ભારતીયને હચમચાવી દે છે.