24 March, 2020 05:01 PM IST | Jammu | Gujarati Mid-Day Online Correspondent
ઓમર અબ્દુલ્લાએ માતા પિતા સાથેની આ તસવીર શેર કરી હતી
કેન્દ્ર સરકારે કોંગ્રેસના નેતા ઓમર અબ્દુલ્લાને છોડી મૂકવાનો આખરે આજે આદેશ આપ્યો છે. કલમ ૩૭૦ હટાવી દેવાયા પછી ઓમર અબ્દુલા, મહેબુબા મુફ્તી સહિત અનેક નેતાઓ હાઉસ અરેસ્ટમાં રખાયા હતા અને થોડા દિવસ પછી એક બોન્ડ પર સહી કરાવ્યા બાદ તેમને છોડવામા આવ્યા હતા. આ બોન્ડ પર લખાણ હતું કે તેઓ ૩૭૦ હટાવવાનાં વિરોધમાં કોઇપણ પ્રકારનાં પ્રદર્શન નહીં કરે તેવી ખાતરી આપે છે. આ પહેલા ઓમર અબ્દુલ્લાના પિતા ફારુક અબ્દુલ્લાની હાઉસ અરેસ્ટમાંથી બહાર લવાયા હતા. 232 દિવસ સુધી નજરબંધ રહેલા ઓમર અબ્દુલ્લાએ બહાર આવ્યા પછી સૌથી પહેલું ટ્વિટ કર્યું હતું કે, “આટલા વખતમાં દુનિયા બહુ જ બદલાઇ ગઇ છે, જે પાંચમી ઑગસ્ટે હતી તેનાથી તદ્દન જૂદી.”
ઓમર અબ્દુલ્લાએ પોતાના ટ્વિટ્સમાં જ બહાર નિકળીને શું કરે છે તેની જાણકારી આપી હતી, “આઠ મહીના પછી આજે પહેલીવાર મારા માતાપિતા સાથે હું જમ્યો. મને આનાથી બહેતર ભોજન કર્યાનું યાદ નથી અને મેં શું ખાધું એ પણ અત્યારે મને યાદ નથી.’
એક ટ્વિટમાં તેમણે રમુજમાં ટિપ્પણી કરી હતી કે કોઇને પણ ક્વોરેન્ટાઇનમાં શું કરવું તે અંગે માહિતી જોઇતી હોય તો મારી પાસે ઘણું કહેવાનું છે, બની શકે કે હું આ અંગે બ્લોગ પણ લખું.
અબ્દુલ્લા સામે વહીવટી તંત્રએ પબ્લિક સેફટી એક્ટ લાગુ કર્યો હતો અને તે હટાવી લીધા બાદ તેણે પત્રકારો સાથે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ સોશ્યલ ડિસ્ટન્સિંગના હુકમનો ભંગ કરી રહ્યા છે અને આ સમય સાવચેતીનાં પગલાં લેવાનો છે. અબ્દુલ્લાએ કહ્યું કે તેણે પોતે એ વાતનો બહુ જ વિચાર કર્યો હતો કે પોતે બહાર આવીને શું કહેશે, લોકોની વ્યથા કેવી રીતે વર્ણવશે, કાશ્મીર અને જમ્મુ બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચાઇ ગયા હોવાથી હવે તેની સ્થિતિ અંગે કેવી રીતે વાત કરશે પણ આઠ મહિનામાં ઘણું બદલાઇ ગયું છે.