17 September, 2021 06:18 PM IST | New Delhi | Agency
મુંબઈથી દિલ્હી ૧૨ કલાકમાં પહોંચાશે
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ગઈ કાલે ૧૩૮૦ કિલોમીટર લાંબા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવેનું હેલિકૉપ્ટરમાંથી સર્વેક્ષણ કર્યું હતું. ભારતનો આ સૌથી લાંબો એક્સપ્રેસવે કહેવાશે. ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણાને આવરી લેતો આ માર્ગ તૈયાર થઈ જતાં મુંબઈથી દિલ્હી ૨૪ કલાકને બદલે માત્ર ૧૨ કલાકમાં પહોંચી શકાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ૭૧મો જન્મદિવસ છે અને બીજેપીએ આજના દિવસથી માંડીને ૨૦મા દિવસ સુધીના અનેક જાહેર કલ્યાણને લગતાં કાર્યો નક્કી કર્યાં છે. ખાસ કરીને બીજેપીએ પોતાના કાર્યકરોને ‘સેવા અને સમર્પણ’ બૅનર હેઠળ દેશમાં કોવિડ-વિરોધી વૅક્સિનના કાર્યક્રમને વેગ આપવાની સૂચના આપી છે. ૭ ઑક્ટોબર સુધીના સમગ્ર પ્રોગ્રામમાં મોદીના ૨૦ વર્ષના જાહેર જીવનને પણ આવરી લેવામાં આવશે. એ ૨૦ વર્ષમાં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેના તેમના કાર્યકાળનો પણ સમાવેશ હશે.
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાની સરકારી કૉલેજને ગઈ કાલે સેનાના સ્થાનિક શહીદ જવાનનું નામ આપવામાં આવ્યું છે. શોપિયાંની સરકારી ડિગ્રી કૉલેજનું નામ પેરાટ્રુપર ઇમ્તિયાઝ અહમદ ઠોકારનું નામ આપવામાં આવ્યું હતું, જે ૨૦૧૫ની ૨૪ ફેબ્રુઆરીએ સોપોર શહેરમાં આતંકવાદ વિરોધ કાર્યવાહીમાં શહીદ થયો હતો. આ સમારંભમાં વરિષ્ઠ નાગરિક, લશ્કરી અધિકારીઓ તેમ જ શહીદ સૈનિકના પરિવારજનો હાજર રહ્યા હતા.
લગભગ ચાર દિવસ બાદ ગઈ કાલે પૂરા થયેલા ૨૪ કલાકમાં દેશમાં ૩૦,૫૭૦ નવા કોવિડ-19ના કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૩૧ લોકોનાં મૃત્યુ થયા હોવાનું જણાવાયું હતું.