14 June, 2021 02:19 PM IST | New Delhi | Agency
જ્યોતિરાદિત્ય સિંધિયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદના ચોમાસું સત્ર પૂર્વે પોતાના પ્રધાનમંડળનું વિસ્તરણ કરે એવી ધારણા રખાય છે. જે રીતે મોદીના સત્તાવાર નિવાસસ્થાન ૭, લોક કલ્યાણ માર્ગ ખાતે શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાઈ રહી છે એ જોતાં કેન્દ્રીય પ્રધાનમંડળમાં વિસ્તરણના ભણકારા વાગી રહ્યા છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં બીજેપીની જીત થઈ ત્યાર બાદ મોદીએ પ્રધાનમંડળમાં કોઈ ફેરફાર કર્યા નથી.
અહેવાલોનો દાવો છે કે મોદી સરકારમાં સભ્યોની સંખ્યા હાલ ૬૦ છે, એ વધારીને ૭૯ કરવામાં આવશે. હાલ ૨૧ કૅબિનેટ પ્રધાનો છે, ૯ સ્વતંત્ર હોદ્દો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાનો છે અને ૨૯ પ્રધાનો રાજ્યકક્ષાના છે. કહેવાય છે કે જેમણે સારી કામગીરી બજાવી નહીં હોય તે પ્રધાનોને મોદી પડતા મૂકશે. નવા સભ્યોનો ઉમેરો થવાની ધારણા છે એમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્બાનંદ સોનોવાલ (આસામના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન), સુશીલ મોદી (બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન) અને અનુપ્રિયા પટેલ (અપના દલ પ્રમુખ).
આમાં સિંધિયાને સામેલ કરવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે સિંધિયાને રેલવે મંત્રાલય મળી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ફેરબદલમાં કેટલાક યુવા ચહેરાઓને સામેલ કરવામાં આવી શકે છે. સિંધિયાની સાથે-સાથે મહારાષ્ટ્રના બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને સોનોવાલને પણ મંત્રીમંડળમાં જગ્યા મળવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.