10 September, 2019 08:00 AM IST |
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે પ્લાસ્ટિકવિરોધી ઝુંબેશના સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે, આગામી કેટલાંક વર્ષમાં ભારત સિંગલ યુઝ પ્લાસ્ટિકને સંપૂર્ણ રીતે તિલાંજલિ આપી દેશે. તેમણે કહ્યું હતું કે, સરકારે નિશ્ચય કર્યો છે કે, ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને કોઈ જ સ્થાન નહીં રહે, સાથે જ તેમણે દુનિયાને પણ આમ કરવાની હાકલ કરી હતી.
ગ્રેટર નોએડાના એક્સપો માર્ટમાં ચાલી રહેલા ૧૨ દિવસીય કોપ-૧૪ કૉન્ફરન્સમાં સંબોધન કર્યું. આ દરમ્યાન પીએમ મોદીએ ગ્લોબલ વોર્મિંગ, જળ-વાયુ પરિવર્તન અને નષ્ટ થઈ રહેલી જૈવ વિવિધતા, રણ જેવા વધતા ખતરા પર ચિંતા વ્યક્ત કરી. તેઓએ યુવાઓને પર્યાવરણ સંરક્ષણને લઈને જાગૃત થવાની પણ અપીલ કરી.
આ પણ વાંચો: સીએમ વિજય રૂપાણીએ તળાવમાં ચલાવી સ્પીડ બોટ, જુઓ ફોટોઝ
પોતાના સંબોધનમાં વડા પ્રધાને જાહેરાત કરી કે ૧૦ વર્ષમાં ૫૦ લાખ હેક્ટર પડતર જમીનને ઉપજાઉ કરી દઈશું. આ ઉપરાંત તેઓએ કહ્યું કે સમગ્ર દુનિયાએ સિંગલ યુઝ પ્લાસ્ટિકને બાય-બાય કહી દેવું જોઈએ. પ્રસંગે કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે ભારતે વધતા રણથી ધરતીને બચાવવાની દિશામાં અનેક પગલાં ઉઠાવ્યાં છે. પર્યાવરણ સંરક્ષણને લઈને ભારતે ઉલ્લેખનીય કામ કર્યું છે. આ જ કારણ છે કે દુનિયાના ૭૭ ટકા વાઘ માત્ર ભારતમાં છે. ગ્રેટર નોઇડામાં યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં દુનિયાના ૧૯૦થી વધુ દેશોના પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે.