04 May, 2021 02:53 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
મમતા બૅનરજી
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી ૫ મેએ રાજકીય કરિયરમાં ત્રીજી વખત આ રાજ્યનાં સર્વેસર્વા તરીકેના શપથ ગ્રહણ કરશે. તેમના પક્ષ તૃણમૂલ કૉન્ગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં ૨૯૨માંથી ૨૧૩ બેઠક પર વિજય મેળવ્યો છે. બીજેપીને ૭૭ તથા સીપીએમ અને અન્યને એક-એક બેઠક મળી હતી. દરમ્યાન ૬ મેએ ચૂંટાયેલા વિધાનસભ્યો શપથ લેશે.
દરમ્યાન મમતા બૅનરજી રવિવારે નંદીગ્રામની બેઠક પર ભાજપના સુવેન્દુ અધિકારી સામે હારી ગયાં એ બાબતમાં તેમણે (મમતાએ) ગઈ કાલે પત્રકારોને કહ્યું હતું કે રિટર્નિંગ ઑફિસરને ડર હતો કે જો આ બેઠકમાં પુનઃમતગણતરી કરાશે તો તેમને (ઑફિસરને) મારી નાખવામાં આવશે.’
બંગાળમાં મમતા બૅનરજીની પાર્ટીના જીતના ઉન્માદમાં બીજેપીના ઘણા કાર્યકરોની હત્યા કરાઈ હોવાનો દાવો
રવિવારે મમતા બૅનરજીનાં પક્ષ તૃણમૂલ કૉન્ગ્રેસ (ટીએમસી)એ પ્રચંડ બહુમતી સાથે વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી એને પગલે કોરોનાના ચેપને અવગણીને રાજ્યભરમાં જીતનો જશન મનાવવામાં આવ્યો હતો, પરંતુ એ ઉજવણીનાં ગાંડપણમાં વિરોધી પક્ષ બીજેપીના ઘણા કાર્યકરોની હત્યા કરવામાં આવી હોવાના ગઈ કાલે અહેવાલો મળતાં કેન્દ્ર સરકાર તેમ જ ગવર્નરે રાજ્ય સરકાર પાસે અહેવાલ માગ્યો છે અને બનાવો સંબંધમાં તપાસ કરવાની સૂચના આપી છે. આ ઘટનાઓમાં બીજેપીના કાર્યકરોની દુકાનોમાં પણ ભારે લૂંટફાટ ચલાવવામાં આવી હતી.