10 June, 2026 11:51 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
છેલ્લા ઘણા સમયથી પ્રેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો (Petro-Diesel Price) થઈ રહ્યો છે. સિલિન્ડરના ભાવ પણ દિવસે-દિવસે વધી (LPG Price Hike) રહ્યાં છે. ત્યારે હવાઈ મુસાફરી કરનારાઓ માટે પણ એક ખરાબ સમાચાર આવ્યા છે. પ્લેનમાં સફર કરનારાઓએ આગામી દિવસોમાં ખિસ્સા વધુ ઢીલા કરવા પડી શકે છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સ્થાનિક એરલાઇન્સ માટે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની કિંમતોમાં અંદાજે ૧૦ ટકાનો મોટો વધારો (Jet Fuel prices rise 10 percent) ઝીંકી દીધો છે. ઉલ્લેખનીય છે કે, એવિએશન સેક્ટરમાં ઇંધણનો ખર્ચ એ ઓપરેટિંગ કોસ્ટ (કામકાજના ખર્ચ) નો સૌથી મોટો હિસ્સો ગણાય છે, જેથી આ વધારા બાદ હવે ફ્લાઇટ ટિકિટના ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા છે.
સરકારની નવી પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન સ્કીમ (ભાવ સ્થિરતા યોજના) હેઠળ, ઘરેલું એરલાઇન્સ કંપનીઓ હવે ત્રણ વર્ષ સુધીના સમયગાળા માટે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (વિમાનના ઇંધણ)ની કિંમતો નક્કી કરી શકે છે. આ સાથે જ સરકારી ફ્યુઅલ રિટેલર્સે જેટ ફ્યુઅલના ભાવમાં અંદાજે ૧૦ ટકાનો વધારો કર્યો છે.
આ નવી વ્યવસ્થા અંતર્ગત, જે એરલાઇન્સ આ સ્વૈચ્છિક યોજનાનો વિકલ્પ પસંદ કરશે તેમણે એટીએફ માટે પ્રતિ લીટર ૧૧૫ રૂપિયાની નક્કી કરેલી કિંમત ચૂકવવી પડશે. અગાઉ આ કિંમત પ્રતિ લીટર ૧૦૪.૯૨૭ રૂપિયા હતી.
જે એરલાઇન્સ કંપનીઓ આ નવી વ્યવસ્થાથી બહાર રહેવાનો નિર્ણય કરશે, તેઓ બજાર આધારિત દરો પર જ ઇંધણ ખરીદતી રહેશે. હાલમાં આ દર પ્રતિ લીટર અંદાજે ૧૪૨ રૂપિયા છે, જે આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ દ્વારા ચૂકવવામાં આવતી કિંમતોની બરાબર છે.
આ યોજના સંપૂર્ણપણે વૈકલ્પિક છે અને એરલાઇન્સ પોતે નક્કી કરશે કે તેમણે આમાં જોડાવું છે કે નહીં. જે કંપનીઓ આ યોજનામાં જોડાશે તેઓ લોક-ઇન પિરિયડ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં થતી ભાવની વધઘટથી સુરક્ષિત રહેશે. બીજી તરફ, જે કંપનીઓ આમાં સામેલ નહીં થાય તેમને ભવિષ્યમાં કિંમતો ઘટશે ત્યારે ફાયદો થઈ શકે છે, પરંતુ જો વૈશ્વિક ભાવ વધશે તો તેનો આર્થિક બોજ પણ તેમણે જ ઉઠાવવો પડશે.
આ ફિક્સ્ડ પ્રાઇસિંગ ફોર્મ્યુલા પ્રતિ લીટર ૮૬.૩૨ રૂપિયાના `ફ્રી-ઓન-બોર્ડ` (FOB) બેન્ચમાર્ક પર આધારિત છે, જેમાં એરપોર્ટ ચાર્જ, ઓઇલ કંપનીઓનો માર્જિન અને લાગુ પડતા ટેક્સનો પણ સમાવેશ થાય છે. આ ફોર્મ્યુલા મુજબ એટીએફની અસરકારક કિંમત દિલ્હીમાં ૧૧૫ રૂપિયા પ્રતિ લીટર, મુંબઈમાં ૧૧૪.૫ રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં ૧૩૯ રૂપિયા પ્રતિ લીટર રહેશે.
સરકાર દ્વારા આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે જ્યારે આ વર્ષની શરૂઆતમાં પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયા બાદ વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવ સતત વધી રહ્યા હતા, તેમ છતાં દિલ્હીમાં ઘરેલું એટીએફની કિંમતો બે મહિના કરતા વધુ સમય સુધી અંદાજે ૧૦૫ રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર રહી હતી.
અહેવાલો અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતો વધવા છતાં ગ્રાહકો પર તેનો ઘણો ઓછો બોજ નાખવામાં આવ્યો હોવાથી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું.
ઓઇલ કંપનીઓના આ નુકસાનની ભરપાઈ કરવા અને એવિએશન સેક્ટરને ભવિષ્યની અનિશ્ચિતતાઓથી બચાવવા માટે કેન્દ્રીય કેબિનેટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફ્રેમવર્કને મંજૂરી આપી દીધી છે.
આ નવી સિસ્ટમ હેઠળ, જો વૈશ્વિક બેન્ચમાર્ક કિંમતો પ્રતિ લીટર ૮૬.૩૨ રૂપિયાના બેઝ રેટથી ઉપર જશે, તો સરકાર આ તફાવતને પૂરો કરવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને વ્યાજ વગર એડવાન્સ રકમ આપશે. ત્યારબાદ જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો ઓછી થશે, ત્યારે વધારાની રકમ વસૂલ કરીને ભારતભરના કન્સોલિડેટેડ ફંડ (એકત્રિત ભંડોળ) માં પરત જમા કરાવી દેવામાં આવશે.