01 April, 2026 10:36 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હી પોલીસ
બંગલાદેશમાં જઈને સ્થાયી થયેલા લશ્કર-એ-તય્યબાના કાશ્મીરી આતંકવાદીએ જણાવ્યો પ્લાન દિલ્હી પોલીસે ધરપકડ કરેલા પાકિસ્તાનસ્થિત લશ્કર-એ-તય્યબા (LeT)ના આતંકવાદી શબ્બીર લોને પૂછપરછ દરમ્યાન ખુલાસો કર્યો હતો કે દેશની રાજધાનીમાં ધાર્મિક સ્થળોની રેકી કરવામાં આવી હતી અને એના વિડિયો પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા. દિલ્હીના કાલકાજી મંદિર, લોટસ મંદિર અને છતરપુર મંદિર જેવાં મુખ્ય સ્થળો LeTના આતંકવાદી મૉડ્યુલના રડાર પર હતાં. શબ્બીર લોને દિલ્હીના કનૉટ પ્લેસનો પણ વિડિયો બનાવ્યો હતો.
આ સિવાય શબ્બીર લોને કહ્યું હતું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ગયા વર્ષે પહલગામ આતંકવાદી હુમલો કરનાર ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ની જેમ એક આતંકવાદી સંગઠન બનાવવા માગે છે.
માર્ચ ૨૦૨૫માં શબ્બીર લોન તેના પરિવાર સાથે ભારત-બંગલાદેશ સરહદ પાર કરીને બંગલાદેશના સૈદપુર વિસ્તારમાં સ્થાયી થયો હતો, જ્યાં તેણે લૉન્ચિંગ બેઝ (આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર) સ્થાપ્યું હતું. પોતાની ઓળખ છુપાવવા માટે તેણે કથિત રીતે સ્થાનિક બંગલાદેશી મહિલા સાથે લગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ શબ્બીર લોને ભારતમાં આતંકવાદી હુમલાઓ કરવા માટે જમ્મુ અને કાશ્મીરની બહારનાં અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી બંગલાદેશી અને ભારતીય યુવાનોની ભરતી કરી હતી.