અનેક મુખ્ય ચૂંટણી કમિશનરો આવ્યા, પણ ટીએન શેષન જેવા જવલ્લે જ દેશને મળે છે

24 November, 2022 11:53 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચૂંટણીપંચની કાર્યવાહીમાં કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની આકરી ઝાટકણી કાઢતાં સુપ્રીમ કોર્ટે આમ જણાવ્યું

સુપ્રીમ કોર્ટ (તસવીર સૌજન્ય મિડ-ડે)

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે ૨૦૦૪થી કોઈ મુખ્ય ચૂંટણી કમિશનરે છ વર્ષની મુદ્દત પૂરી કરી નથી. બંધારણીય બેન્ચે ધ્યાન દોર્યું હતું કે યુપીએના દસ વર્ષના શાસન દરમ્યાન છ મુખ્ય ચૂંટણી કમિશનર હતા, જ્યારે એનડીએના આઠ વર્ષના કાર્યકાળમાં આઠ રહ્યા છે. ભારતના ચૂંટણીપંચ માટે નિમણૂકની પ્રક્રિયા વિશે આકરી કમેન્ટ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે હવે ચોક્કસ ફાઇલ મગાવી છે. આ ફાઇલ ૧૯મી નવેમ્બરે ચૂંટણી કમિશનર અરુણ ગોયલની નિમણૂકના સંબંધમાં છે. સુનાવણી હવે આજે પણ સતત ચાલુ રહેશે. 

જસ્ટિસ કેએમ જોસેફના નેતૃત્વવાળી બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે ‘અદાલત જાણવા ઇચ્છે છે કે નિમણૂકમાં કશું શંકાસ્પદ છે કે નહીં? કેમ કે તેમને તાજેતરમાં જ સર્વિસમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ આપવામાં આવી હતી.’ નિમણૂકની પ્રક્રિયા અને એના સંબંધમાં કાયદાઓ વિશેની અરજીઓ પરની સુનાવણી દરમ્યાન ઍક્ટિવિસ્ટ-લૉયર પ્રશાંત ભૂષણ દ્વારા અરુણ ગોયલની નિમણૂકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અહીં અદાલતનાં કેટલાંક ઑબ્ઝર્વેશન્સ પર એક નજર કરીએ. 

સરકાર પર અદાલતના આકરા પ્રહાર

૧) સરકાર ચૂંટણી કમિશનરો અને મુખ્ય ચૂંટણી કમિશનરોને એટલી ઓછી મુદત આપે છે કે તેઓ સત્તા પર રહેલી વ્યક્તિ કહે એમ જ કરે છે. 

૨) અનેક મુખ્ય ચૂંટણી કમિશનરો આવીને ગયા, પણ ટીએન શેષન જેવા એક જવલ્લે જ મ‍ળે છે. ત્રણ લોકો (મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરો)ના નરમ ખભા પર પ્રચંડ તાકાત રહેલી છે. મુખ્ય ચૂંટણી કમિશનરના પદ માટે આપણે શ્રેષ્ઠ વ્યક્તિની પસંદગી કરવાની જરૂર છે. 

૩) વાસ્તવિક સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. અમે જાણીએ છીએ કે અત્યારની વ્યવસ્થાને અમે બદલવા જઈશું તો શાસક પાર્ટી તરફથી વિરોધનો સામનો કરવો પડશે. 

૪) આપણે એવી સારી પ્રક્રિયા અપનાવવાની જરૂર છે કે જેથી ક્ષમતા સિવાય મજબૂત વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિની જ મુખ્ય ચૂંટણી કમિશનર પદે નિમણૂક થાય.

national news supreme court election commission of india new delhi